Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નવ વર્ષની લડતમાં આખરે અમને સફળતા મળી, મને કોઇ અપેક્ષા ન હતી તેવો ન્યાય મળ્યોઃ અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાનું નિવેદન

અમદાવાદ :અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.

અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ વાતચીતમાં કહ્યું કે, મને ન્યાય મળ્યો છે. મને કોઈ અપેક્ષા હતી તેવો ન્યાય મને મળ્યો છે. હું બધાનો આભાર માનું છું. મારા પરિવારને જે વળતર આપ્યું તેનાથી પણ હું ખુશ છું. તેમણે કહ્યું કે, આજના જજમેન્ટને હું અને મારો પરિવાર વધાવે છે. નવ વર્ષની લડતમાં આખરે અમને સફળતા મળી છે. આરોપીઓને જે સજા મળી છે, તો બરાબર છે ઉપલી કોર્ટમાં અમે જવા માંગતા નથી. મેં અને મારા પરિવારે જે દસ વર્ષ યાતના ભોગવી છે, ત્યારે આરોપીઓ બાકીની સજા ભોગવે તે યોગ્ય ગણાશે.

આરોપીએ વિશે તેમણે કહ્યું કે, દોષિત આરોપીઓ ખૂ્ઁખાર છે, તો શું કરશે મને કે મારા છોકરાને ગોળી મારશે. એનાથી હું ડરતો નથી. લડેંગે, અને લડતે રહેંગે.

અમિત જેઠવાના પરિવારને 11 લાખ આપવાનો આદેશ

સીબીઆઈ જજ કે. એમ. દવેએ કેસમાં અમિત જેઠવાના પરિવારને કુલ 11 લાખ આપવાનો આદેશ પણ સંભળાવ્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો છે.

કયા આરોપીને કેટલો દંડ

- દિનુ બોઘા સોલંકી - 15 લાખ દંડ

- શૈલેષ પંડ્યા - આર્મ્સ એક્ટમાં આજીવન સજા 10 લાખનો દંડ

- ઉદાજી ઠાકોર - 25,000નો દંડ

- શિવા પચાણ - 8 લાખનો દંડ, ધારા 302, 120-B અંતર્ગત સજા

- શિવા સોલંકી - 15 લાખનો દંડ

- બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) :- આઈપીસી કલમ 302, 120-B અને 10 લાખનો દંડ

- સંજય ચૌહાણ - 1 લાખનો દંડ

7 આરોપીને આજીવન કેદ

કેસમાં સાત આરોપીઓ દિનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

(4:43 pm IST)