Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ખાતર કૌભાંડ મુદ્દે રાજ્‍ય સરકાર ઉપર તૂટી પડયા

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજીવ સાતવે મનીષ દોશીની ધો. 10-12 પછી કારકિર્દી માર્ગદર્શન કરતી ઈ-બુકનું લોકાર્પણ કર્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ આજે ગુજરાતની મુલાકાતે હોય ત્યારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, તેમજ પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ હજાર રહ્યા હતા અને તેમનું સ્વાગત કર્યુ હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે રાજીવ સાતવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. દેશમાં લોકસભાને લઇને જે માહોલ બન્યો છે તેમાં ભાજપને ફટકો પડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધતો જઇ રહ્યો છે. તેની સામે રાજ્ય સરકાર કોઇ ન્યાય આપતી નથી. ગુજરાતમાં કાયદો જાળવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખેડુતોને ખાતરની બોરીનું જે વજન હોવું જોઇએ તે મળતું નથી. માત્ર ગુજરાતમાં જ કેમ વજન ઓછું આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખાતર કૌભાંડમાં ભ્રષ્ટાચાર છુપાવવાની વાત છે. કોંગ્રેસ આ મુદ્દાઓને વિધાનસભામાં ચર્ચા કરશે.

ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ આવી પહોંચેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસ ભવન ખાતે મનીષ દોશીની ધો. 10-12 પછી કારકિર્દી માર્ગદર્શન કરતી ઈ-બુકનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા.

(5:52 pm IST)