Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

દેશના ૩ રાજયની હાઇકોર્ટમાં ગુજરાતી ચીફ જસ્ટિસ બન્યા

દિલ્હી, એમપી, ઓરિસ્સામાં ગુજરાતી ચીફ જસ્ટિસ : દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ડીએન પટેલ અને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અકીલ

અમદાવાદ,તા.૧૪ : બે વર્ષ સુધી દેશની અન્ય અદાલતોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નહીંવત્ થયા બાદ આખરે હવે આજે દેશના ત્રણ રાજ્યોની હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ગુજરાતી મૂળના જસ્ટિસ સ્થાન પામ્યા છે. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ ગુજરાતના જસ્ટિસ એમ.આર.શાહને બહુ મહત્વનું અને ગૌરવપૂર્ણ સ્થાન મળ્યું છે. હવે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે મૂળ અમદાવાદના ગુજરાતી એવા જસ્ટિસ ડી.એન. પટેલની અન મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે અકિલ કુરેશીની નિમણૂક કરાઇ છે. અગાઉ, ઓડિશા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે મૂળ અમદાવાદના વતની એવા ગુજરાતી જસ્ટિસ કે.એસ. ઝવેરીની નિમણૂક ઓગસ્ટ-૨૦૧૮માં કરવામાં આવી હતી. જયારે ગુજરાતના લોકપ્રિય ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.આર.શાહની નવેમ્બર-૨૦૧૮માં સુપ્રીમકોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુકિત કરાઇ હતી. આમ, ગત તા.૭મી માર્ચ, ૨૦૦૪ના રોજ એક જ દિવસે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે એપોઇન્ટ થયેલા ચાર જસ્ટિસને આજે દેશના ત્રણ રાજ્યોની હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે અને એક જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિયુક્તિ પામ્યા છે, જે ગુજરાત અને ગુજરાતના ન્યાયતંત્ર માટે બહુ મોટા ગૌરવની વાત કહી શકાય. હવે સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ઝારખંડમાં જસ્ટિસ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ ડી.એન. પટેલની દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરાઇ છે તેમજ મુંબઇ હાઇકોર્ટમાં નિયુક્ત થયેલા જસ્ટિસ અકીલ કુરેશીની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરાઇ છે. આજે પણ સુપ્રીમ કોર્ટમાં ૨૦૦૬માં નિયુક્ત થયેલા કર્ણાટક હાઇકોર્ટના ત્રણ જસ્ટિસ છે, મુંબઇ હાઇકોર્ટના ચાર જસ્ટિસ સુપ્રીમમાં છે, દિલ્હી હાઇકોર્ટના ત્રણ જસ્ટિસ સુપ્રીમ કોર્ટમાં છે. સિનિયોરિટીને ધ્યાને લઇએ તો હાલ સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલા ગુજરાત મૂળના ત્રણ ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ, અકીલ કુરેશી અને કલ્પેશભાઇ એસ.ઝવેરી તેમ જ સુપ્રીમકોર્ટના જસ્ટિસ તરીકે જસ્ટિસ એમ.આર.શાહની નિયુકિતને લઇ હવે દેશના ન્યાયતંત્ર અને સુપ્રીમકોર્ટમાં પણ ગુજરાતનું ગૌરવ અને મહત્તા જળવાતાં રાજયના ન્યાયતંત્રમાં પણ ભારે ખુશીની લાગણી ફેલાઇ છે. ગુજરાત અને ગુજરાતી પ્રજા માટે પણ આ બહુ ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય.

(8:23 pm IST)