Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમદાવાદમાં શ્વાન કરડવાની ઘટનાની સાથે-સાથે ઉંટ, બકરી, ઘોડા, બિલાડીઅે પણ લોકોને નિશાન બનાવ્યા છે

અમદાવાદ :મેગા સિટી અમદાવાદમાં રખડતા કૂતરાનો ત્રાસ તો સામાન્ય થઇ ગયો છે. ગઈકાલે અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં એક માસુમને હડકાયેલા કુતરાએ પીંખી નાખતા ચકચાર મચી ગઈ છે. જમાલપુર વિસ્તારમાં બનેલી ઘટનાથી લોકોમાં કૂતરાઓના આતંક સામે ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.

કૂતરાએ બાળક પર કર્યો હુમલો

અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં માસુમ બાળક પર જીવલેણ હુમલો કરતા આ દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે. પણ આ દ્રશ્ય જમાલપુરની હાજી કમાલ દરગાહ પાસેના મોહલ્લામાં બન્યો હતો. પોતાના ઘર ની પાસે રમતા બાળક પર કોઈ પણ કારણવગર આ હડકાયેલા કુતરાએ હુમલો કરી દેતા ચકચાર મચી હતી. ઘટના જ્યારે ઘટી ત્યારે બાળકનાં મોટા ભાઈએ હિમંત દાખવી કુતરાના મુખમાંથી તેના ભાઈને છોડાવવાનો પ્રત્યન કર્યો હતો. ત્યારબાદ અન્ય પરિવારજનો અને પાડોશીઓ પણ મદદે આવ્યા હતા અને આખરે બાળકનો કૂતરાના મુખમાંથી છુટકારો થયો હતો. હાલ આ માસુમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, મનપા તંત્રની બેદરકારીને કારણે શહેરમાં કૂતરાઓનો આતંક વધી ગયો છે.

થોડા દિવસ આગાઉ જ મનપામાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અને હાલમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ દ્વારા તંત્ર પાસે શહેરમાં વિવિધ પશુઓ દ્વારા કરડવાના બનાવો અંગે માહિતી માંગવામાં આવી હતી. તંત્રએ આપેલી માહિતી મુજબ મેગા સિટીમાં દર વર્ષે રખડતા શ્વાન દ્વારા કરડવાના સરેરાશ 40,000થી વધુ બનાવો બને છે. તંત્રએ આપેલી માહિતીમાં માત્ર કુતરાઓનો જ ઉલ્લેખ નથી, પરંતુ બિલાડી, વાંદરા, ઘોડા, ઉંટ, ભૂંડ અને માનવી દ્વારા પણ કરડવાના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક નજર કરીએ વર્ષ 2014 થી 2018 સુધી વિવિધ પશુઓ દ્વારા કરડવાના આંકડા પર...

વર્ષ

કૂતરા

બિલાડી

વાંદરા

અન્ય

2014

46102

782

214

256

2015

50030

567

130

134

2016

52639

594

192

149

2017

57482

453

164

137

2018

59621

421

146

117

હવે નજર કરીએ ઉંદર, ઘોડા, ઉંટ, ભૂંડ, બકરી અને માનવી દ્વારા કરડવાના આંકડા પર..

ઉંદર

ઉંટ

ઘોડો

માણસ

બકરી

ભૂંડ

352

7

3

17

5

2

મહત્વનું એ છે કે, એક આંકડા મુજબ હાલમાં શહેરમાં 3 લાખ કરતા વધુ રખડતા કૂતરા છે. જેઓના ખસીકરણ અને રસીકરણ માટે પાછલા વર્ષમાં અઢી કરોડ જેટલી માતબર રકમ ખર્ચાઇ છે. તેમ છતાં આ સમસ્યાનો કોઇજ ઉકેલ આવ્યો નથી. નોંધનીય છે કે રખડતા કૂતરા પાછળ કરોડો ખર્ચ કરવા છતા પણ તેમની સંખ્યા કાબૂમાં નથી આવી રહી. જમાલપુર વિસ્તારમાં બનેલી ઘટના મનપા તંત્રની પોલ ખોલી છે. હાલ આ માસુમ વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(5:02 pm IST)