Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

એનડીએ ૨૦૧૪ કરતા પણ વધુ સીટો જીતશે : દેવેન્દ્ર ફડનવીસ

માત્ર પાક અને કોંગ્રેસે પરાક્રમના પુરાવા માંગા : ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે, વાસ્તવિકતા સાથે લેવા દેવા નથી તે રાહુલ ગાંધીની સાથે બંધબેસતુ છે : દેવેન્દ્ર ફડનવીસ

અમદાવાદ,તા.૧૪ : આજરોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ અમદાવાદ પશ્ચિમ લોકસભામાં આવેલા સારંગપુર ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને આંબેડકર જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ફડણવીસએ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીના સમર્થનમાં લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકસંપર્ક દરમિયાન ઠેર ઠેર અમદાવાદની જનતાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું અને 'ફિર એક બાર મોદી સરકાર'ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. દેવેન્દ્ર ફડણવીસએ અમદાવાદ ખાતે આવેલ શ્રીપાદની વાડી ખાતે મહારાષ્ટ્રના મરાઠી સમુદાયના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગણેશ મંડળના પ્રમુખ, મહિલા મોરચાના આગેવાનો તેમજ વિવિધ અગ્રણીઓ ધ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ફડણવીસએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતનો નાતો મોટાભાઈ અને નાનાભાઇ જેવો છે, એટલે મને નાનાભાઇની પ્રગતિ જોઈને બેહદ ખુશી થાય છે. નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોને કારણે જ ગુજરાત મોડલ આજે વિશ્વભરમાં પ્રસ્થાપિત થયું છે. આજે રાજ્યો વચ્ચે વિકાસની સ્પર્ધા થઈ રહી છે. આ તંદુરસ્ત હરિફાઈને કારણે યુવકોને રોજગાર મળી રહ્યો છે. ફડણવીસએ જણાવ્યું હતું કે, જેમ ટેલિવિઝનમાં સિરિયલ શરૂ થતાં પહેલા આવે છે કે, "આ ધારાવાહિક સંપૂર્ણ કાલ્પનિક છે વાસ્તવિકતા સાથે તેને કોઈ સંબંધ નથી". આ વાક્ય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સંપૂર્ણ રીતે બંધબેસતું છે. ફડણવીસએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફક્ત પાકિસ્તાન અને કોંગ્રેસે જ ભારતીય જવાનોના પરાક્રમના સબૂત માંગ્યા. જે કોંગ્રેસની પાક તરફી માનસિકતા ઉજાગર કરે છે. ચાલી રહેલી ચૂંટણી વિશે ફડણવીસએ કહ્યું હતું કે, પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે જનતાનો ઉત્સાહ જોતા સ્પષ્ટ લાગે રહ્યું છે કે જનતાએ નરેન્દ્ર મોદીના સમર્થનમાં જ મતદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ૨૦૧૪ કરતાં પણ વધારે બેઠકો સાથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

 

(9:41 pm IST)