Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાતમાં રોજ ૩ મર્ડર : ત્રણ પર ખુની હુમલા

ગુજરાત સલામત હોવાના દાવા ખોટા : ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાતની ગણતરી દેશના સલામત અને શાંત રાજયોમાં કરવામાં આવે છે. સમયાંતરે દાવાઓ કરવામાં આવે છે કે અહીંના શહેરોમાં છોકરીઓ રાત્રે બે વાગ્યે પણ એકલી ફરી શકે છે. જોકે, બીજી તરફ જે આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી સલામત ગુજરાતના દાવાનો છેદ ઉડી જાય છે. તાજેતરમાં જ ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યામાં આરોપીઓ તો નથી પકડાયા પરંતુ કોણે અને શા માટે હત્યા કરી તે પણ સામે આવ્યું નથી. રાજયના ગૃહવિભાગના આંકડા કહે છે કે રાજયમાં દરરોજ ત્રણ વ્યકિતની હત્યા થાય છે, તેમજ ત્રણ પર ખૂની હુમલા થાય છે.

દરરોજ જે રીતે હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે છે કે ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, હત્યા કે હત્યાના પ્રયાસના બનાવો ગુજરાતના કોઈ ચોક્કસ વિસ્તારમાં બને છે તેવું નથી. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી જયાં આવા બનાવો નથી બની રહ્યા.

છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ હત્યાના મામલામાં અમદાવાદ જિલ્લો સૌથી મોખરે રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના ૨૬૭ કેસ નોંધાયા છે. જયારે રાજકોટ જિલ્લામાં બે વર્ષમાં હત્યાના ૧૬૨ બનાવો નોંધાયા છે. આખા રાજયની વાત કરવામાં આવે તો બે વર્ષમાં કુલ ૨૨૧૧ વ્યકિતની હત્યા કરવામાં આવી છે.

હત્યા ઉપરાંત બે વર્ષમાં હત્યાના પ્રયાસની પણ અનેક ઘટનાઓ સામે આવી છે. આંકડાઓ જોઈએ તો રાજકોટમાં ૧૨૮, સુરતમાં ૨૧૮, જામનગરમાં ૨૪૧, અમદાવાદમાં ૨૯૫, મહેસાણામાં ૧૨૧ હત્યાના પ્રયાસની ઘટનાઓ બનાવા પામી છે. હત્યાન પ્રયાસના કેસમાં પણ અમદાવાદ જિલ્લો મોખરે રહ્યો છે.

ગુજરાતમાં થયેલ હત્યાના આંકડા

રાજકોટ      ૧૬૨

કચ્છ         ૧૦૯

ભાવનગર   ૯૩

ખેડા         ૭૦

બનાસકાંઠા   ૭૮

સુરેન્દ્રનગર  ૭૬

દાહોદ       ૭૭

વડોદરા     ૭૧

અમદાવાદ   ૨૬૭

(10:27 am IST)