Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

અમદાવાદના રાણીપમાં જીઅેસટી ફાટક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજનું ઉદ્ઘાટન ન કરાતા લોકોઅે જ ઓવરબ્રિજ ખુલ્લો મુકી દીધો

અમદાવાદઃ રાણીપ ખાતે આવેલ GST ફાટક ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની ગયો હોવા છતા તેના ઉદ્ઘાટનના કોઈ અણસાર ન દેખાતા પાછલા કેટલાય સમયથી રોજ હાલાકીનો ભોગ બનતા સ્થાનિકોએ અંતે કંટાળીને પોતાની જાતે જ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી નાખ્યું હતું. આ સમયે સ્થાનિકોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આ અંગે સૂત્રોએ કહ્યું કે આ ઓવરબ્રિજના ઉદ્ઘાટન માટે ભાજપે સીએમ રુપાણી પાસે સમય માગ્યો હતો. જોકે હજુ સુધી નક્કી થઈ શક્યો નહોતો.

એકબાજુ ભાજપ કોઈ સેલેબ્રિટી અને નેતાની હાર જોતો હતો બીજી તરફ ઓવરબ્રિજ બની ગયો હોવા છતા ચાલુ ન હોવાથી સતત હાડમારી સહન કરતા સ્થાનિકો અને દરરોજ અહીંથી પસાર થતા લોકોએ ઓવરબ્રિજને ખુલ્લો મુકી દીધો હતો. ત્યારે સ્થાનિક કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો છે કે લોકોને પડતી મુશ્કેલીનું ધ્યાન રાખીને તેમણે જાતે આ રોડ લોકો માટે ખુલ્લો મુકવાની કામગીરી કરી હતી.

સામાન્ય રીતે 24 મહિનામાં જે કામ પુરુ થવું જોઈએ તે રાણીપ અને ન્યુ રાણીપને જોડતા GST રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજને પૂરા થતાં 5 વર્ષ લાગ્યા હતા. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો તો રેલવે સાથે વિવાદમાં પડવાના કારણે બ્રિજની કામગરી વચ્ચે વચ્ચે ઘણા સમય સુધી ઠપ્પ થઈ પડી હતી. પછી જ્યારે જેમ તેમ કરીને બ્રિજ તૈયાર થયો ત્યારે શાસક પક્ષે જાહેરાત કરી કે લોકો માટે મે મહિનામાં આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે પરંત મે મહિનો પૂરો થઈ જવા છતા ઉદ્ઘાટનનું નામોનિશાન દેખાયું નહીં.

સાબરમતી યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ જય પટેલે કહ્યું કે, ‘બે મહિનાથી ઓવરબ્રિજ તૈયાર છે. આશરે 6 વર્ષના કામ બાદ હવે તૈયાર થઈ ગયો છે તો લોકોને તાત્કાલીક યુઝ કરવાની પરમીશન મળવી જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ વિશેષ આવે તેની રાહ જોઈને લોકની મુશ્કેલીમાં વધારો કરવો જોઈએ.

આ અંગે શહેરના મેયર ગૌતમ શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે સસ્તી પ્રસિદ્ધી મેળવવા માટે આ કામ કર્યું છે. અમે પણ જેટલું શક્ય બને તેટલું આ બ્રિજને લોકોને સમર્પિત કરવા માગીએ છીએ પરંતુ હજું પણ બ્રિજ પર ફિનિશિંગ કામ ચાલુ છે જે આવતા સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. જે બાદ બ્રિજને વિધિવત ખુલ્લો મુકવામાં આવશે.

(6:26 pm IST)