Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉજ્જવલા દિવસે એલપીજી પંચાયત યોજવા માટે નિર્ણય

૨૦મી એપ્રિલે દેશમાં ઉજ્જવલા દિવસની ઉજવણીઃ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૨૦૨૦ સુધીમાં ૮ કરોડ એલપીજી કનેકશનનો લક્ષ્ય પૂર્ણ થશે : અહેવાલ

અમદાવાદ,તા.૧૬:       કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના ગ્રામ સ્વરાજય અભિયાનના ભાગરૃપે તા.૨૦મી એપ્રિલે મોદી સરકારના મહિલાઓને એલપીજી ગેસથી સુસજ્જ બનાવી આરોગ્ય, પર્યાવરણ અને સલામતી બક્ષવાના મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાના ઉપલક્ષ્યમાં ઉજ્જવલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા.૨૦મી એપ્રિલે ઉજ્જવલા દિવસ નિમિતે ગુજરાત સહિત દેશભરમાં ૧૫ હજાર જેટલી એલપીજી પંચાયતો યોજાશે. પ્રત્યેક એલપીજી ડ્રિસ્ટ્રીબ્યુટર દ્વારા તેમના વિસ્તારમાં એક એલપીજી પંચાયતનું આયોજન કરાશે, તે મુજબ ગુજરાત રાજયમાં પણ તા.૨૦મી એપ્રિલે ૭૦૧ એલપીજી પંચાયતો યોજાશે એમ અત્રે ઓઇલ ઉદ્યોગના રાજયકક્ષાના સંયોજકન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એકઝીકયુટીવ ડાયરેકટર(ગુજરાત) એસ.એસ.લાંબાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં એલપીજી પંચાયતો યોજવા પાછળનો ઉમદા ઉદેશ્ય એ છે કે, અલપીજીના સલામત વપરાશ, તેનાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંબંધી ફાયદા સમજાવી મહત્તમ મહિલા ગ્રાહકોને એલપીજી લાભાર્થી તરીકે જોડવાનો છે. પ્રત્યેક એલપીજી પંચાયતમાં ૫૦૦ મહિલાઓ ભાગ લે તેવો અંદાજ છે અને તેમાંથી ૧૦૦ નવા એલપીજી કનેકશન આપી લાભાર્થીઓને ઉમેરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે. એલપીજી પંચાયત એક સમુદાય બેઠક છે, જેમાં એલપીજી ગ્રાહકો એકબીજા સાથે વાતચીત કરી અસરપરસ શીખે છે અને તેમના અનુભવો વર્ણવે છે. ઉજ્જવલા દિનની ઉજવણી અને એલપીજી પંચાયતના આયોજનમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એ ત્રણેય ઓઇલ કંપનીઓ સહયોગી બનીને કામ કરવાની છે. ઓઇલ ઉદ્યોગના રાજયકક્ષાના સંયોજકન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એકઝીકયુટીવ ડાયરેકટર(ગુજરાત) એસ.એસ.લાંબાએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું કે, દેશભરમાં હાલ ૨૨ કરોડ એલપીજી કનેકશન છે, જેમાં ગુજરાતમાં ૮૫ લાખ જેટલા જોડાણો છે.  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૨.૭૫ લાખ એલપીજી કનેકશન થઇ ગયા છે. દેશભરમાં અગાઉ જે પાંચ કરોડ એલપીજી કનેકશનનો લક્ષ્યાંક રખાયો હતો, તેમાંથી ૩.૫૮ કરોડ એલપીજી કનેકશન તો પૂર્ણ કરી દેવાયા છે, તેથી હવે આ લક્ષ્યાંક સુધારી નવો લક્ષ્યાંક આઠ કરોડનો કરવામાં આવ્યો છે. જેને પરિપૂર્ણ કરવા માટે મંત્રાલય દ્વારા અંત્યોદય, પ્રધાનમંત્રી આવાસ યોજના, અતિપછાત વર્ગ, અનુસૂચિત જાતિ-જનજાતિ સહિતની નવી સાત કેટેગરીઓને પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ૨૦૨૦ સુધીમાં આ નવા લક્ષ્યાંકને હાંસલ કરી દેવાનું અમારૃં આયોજન છે. પ્રધાનમંત્રી ઉજજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેકશન લેવાનો ફાયદો સમજાવતાં આઇઓસીના ઉચ્ચ અધિકારીઓ જયેશ ઓબેરોય, સુરેશ ઐય્યરે જણાવ્યું હતું કે, એલપીજી કનેકશનનો પ્રથમ વખતનો રૃ.૧૬૦૦નો ચાર્જ સરકાર ભોગવશે, એ પછી એલપીજી બાટલાની કિંમતમાં પણ તેમને લોનની સુુવિધા આપવામાં આવશે. સબસીડાઇઝ રેટથી બાટલો મળશે તે ફાયદો તો લાભાર્થીઓને છે જ. તા.૨૦મીએ રાજયભરની જરૃરિયાતમંદ મહિલાઓને એલપીજી પંચાયતમાં જોડાઇ લાભાર્થી તરીકે ફાયદો ઉઠાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

(9:52 pm IST)