Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગરમીનો પ્રકોપ : જનજીવન પર નોંધાયેલ પ્રતિકુળ અસર

સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રીઃ અમદાવાદમાં બપોરે તીવ્ર ગરમીની વચ્ચે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યુ : પારો શહેરમાં પણ ૪૦.૨ ડિગ્રી રહ્યો

અમદાવાદ, તા.૧૬: અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગરમીના પ્રકોપ વચ્ચે બપોરના ગાળામાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બપોરના ગાળામાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યુ હતું. આજે સુરેન્દ્રનગરમાં પારો ૪૧.૮ સુધી પહોચી ગયો હતો. અનેક ભાગોમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. જ્યાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો તેમાં અમરેલીમાં ૪૧.૪, રાજકોટમાં ૪૧ અને સુરેન્દ્રનગરમાં ૪૧.૮નો સમાવેશ થાય છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધશે નહીં પારો ૪૦ની આસપાસ રહેશે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૃરિયાત દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૃઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૧૪ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૪૨, કમળાના ૧૦૭, ટાઇફોઇડના ૧૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૃઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૃપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે.

(9:51 pm IST)