Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પ્રવીણ તોગડિયા આજથી અમરણાંત ઉપવાસ ઉપર

દેશના સાધુ-સંતો અને મહંતોનું તોગડિયાને ટેકોઃ ઉપવાસ સ્થળ બદલાયુ : જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન : સત્યાગ્રહમાં વધુ લોકો જોડાય તેવી સંભાવના

અમદાવાદ,તા. ૧૬:  ગુરૂગ્રામ ખાતે યોજાયેલી વિહિપની ચૂંટણીમાં ડો.પ્રવીણ તોગડિયાની હકાલપટ્ટી બાદ આવતીકાલથી તેઓ અમદાવાદમાં અચોક્કસ મુદત માટે અમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યા છે. ડો.પ્રવીણ તોગડિયાનું ઉપવાસનું સ્થળ છેલ્લી ઘડીયે બદલવામાં આવ્યું છે. પહેલા તેમના ઉપવાસ બત્રીસી હોલ ખાતે યોજાવાના હતા પરંતુ હવે તે સ્થળ બદલી હેલ્મેટ સર્કલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ ઉપવાસ આંદોલન શરૃ કરવા જઇ રહ્યા છે. ડો.તોગડિયાના સત્યાગ્રહમાં ધાર્યા કરતાં વધુ લોકો અને સાધુ-સંતો, મહંતો અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાઇ શકે તેમ હોઇ ઉપવાસનું સ્થળ બદલાયું હોવાનું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, ડો.તોગડિયાના અમરણાંત ઉપવાસને લઇ ગુજરાત સહિત દેશભરના સાધુ-સંતો અને મહંતો પણ હવે તેમના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. સનાતન સંસ્થાએ ડો.તોગડિયાના ઉપવાસમાં પોતાનું સમર્થન જાહેર કર્યું છે, તો અખિલ ભારતીય ગૌ રક્ષક ટ્રસ્ટના સભ્યોએ આજે તોગડિયા સાથે મુલાકાત કરી હિન્દુઓ, રામમંદિર અને ગૌ હત્યા રોકવા જે ઉપવાસ આદરવાનું એલાન આપ્યું છે, તેને પોતાનું ખુલ્લું સમર્થન આપ્યું છે. ટ્રસ્ટના અવધૂત રામાયા મહારાજે દાવો કર્યાે હતો કે, દેશના સાધુ-સંતો, મહંતો અને અન્ય મહાનુભાવો ડો.તોગડિયાની સત્યની લડાઇ સાથે છે. દરમ્યાન આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે ડો.પ્રવીણ તોગડિયાએ શહેરના સુપ્રસિધ્ધ કર્ણમુકતેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથની પૂજા કરી તેમના સંકલ્પ પૂર્ણ કરવાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં આજે બાળકીઓ, બેટીઓ અને મહિલાઓ સુરક્ષિત નથી, તેઓ ખુલ્લેઆમ બળાત્કારનો ભોગ બનીરહી છે, ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે અને દેશની સરહદો પર જવાનો સુરક્ષિત નથી તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં ફરી રહ્યા છે તે ઘણી ગંભીર, ચિંતાજનક અને આઘાતજનક બાબત છે. તમારી સાથે આવતીકાલથી ઉપવાસમાં કોણ કોણ જોડાશે એ પ્રશ્નના જવાબમાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, મેં મારા અમરણાંત અનશનની વાત કરી છે, મારી સાથે આવીતકાલે મંચ પર કોણ કોણ જોડાય છે તે તો આવતીકાલે ખબર પડી જશે. બીજીબાજુ, ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ-સંતો અને મહંતોનું ડો.તોગડિયાને ભારે સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. તોગડિયાના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાંથી સંતસમાજના સાધુ-સંતો અને ગૌ સંસ્થાઓના પ્રતિનિધિઓ અમદાવાદ તરફ આવી રહ્યા છે. આવતીકાલથી ડો.તોગડિયાના અમરણાંત ઉપવાસમાં વિહિપ સાથે છેડો ફાડનારા અનેક આગેવાનો અને મહાનુભાવો તેમ જ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાય તેવી પણ શકયતા છે. બીજીબાજુ, અંદરખાને તોગડિયાને મનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જો કે, તોગડિયા પોતાના સત્યાગ્રહની લડત માટે મક્કમ છે. આવતીકાલથી તેઓ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવાના છે. ઉલ્લેખનીય છે કે, ડો.તોગડિયાને તમિલનાડુ ઓરિસ્સા અને સમગ્ર ભારતમાંથી લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ડો.તોગડિયાના સમર્થનમાં  વિશ્વિ હિન્દુ પરિષદના હજારો કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને અગ્રણીઓએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સામૂહિક રાજીનામા ધરી દેવાનું ચાલું કર્યું છે. જેને લઇ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના સાત હજારથી વધુ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને અગ્રણીઓએ ડો.તોગડિયાના સમર્થનમાં પોતાના રાજીનામા ધરી દીધા છે.

(7:49 pm IST)