Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર સીએમ મેં આજ સુધી નથી જોયા

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પાટીદોરને સલાહ, સંગઠન હશે તો આપણું માન વધશે, જેમાં વિવાદ થયો તેમનું કોઈ સમ્માન નથી રહેતું

અમદાવાદ, તા.૨૦ : સત્તામાંથી અચાનક થયેલી વિદાય બાદ પોતે નારાજ છે તેવી ચર્ચાઓ અને અટકળો વચ્ચે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે. શનિવારે અમદાવાદના સોલા વિસ્તારમાં બનનારા ઉમિયાધામ કેમ્પસ અને મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, તેમણે આજ સુધી ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી નથી જોયા.

બધાની સાથે હળીભળી જવાની ભૂપેન્દ્રભાઈની જે પદ્ધતિ છે તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રીમાં પોતે જોઈ છે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે, આ વાત તેઓ માત્ર ભૂપેન્દ્ર પટેલના વખાણ કરવા નથી કહી રહ્યા, પરંતુ પાટીદાર સમાજે કેવા સીએમ ભાજપને આપ્યા છે તે જણાવવા કહી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બનવાના હતા તે વખતનો એક પ્રસંગ ટાંકીને નીતિન પટેલે જણાવ્યું હતું કે, શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે પોતાને ફોન કરીને જણાવ્યું હતું કે શપથ લેતા પહેલા મારે તમારા આશીર્વાદ લેવાના છે. આવો વિચાર કોઈ નિરાભિમાની જ કરી શકે તેમ પણ નીતિન પટેલે કહ્યું હતું. આ જ રીતે તેઓ પ્રોટોકોલને નેવે મૂકીને બેસતા વર્ષે પણ પોતાના ઘરે આવ્યા હતા.

અમદાવાદમાં બની રહેલા બે ઉમિયાધામ અંગે સ્પષ્ટતા કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનેક પાટીદારો આ પ્રશ્ન તેમને પૂછી રહ્યા છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની હદ ખૂબ જ વિસ્તરી રહી છે. વળી, વિશ્વ ઉમિયાધામ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાનું તમામ પાટીદારોની લાગણી છે. પરંતુ બંને ઉમિયાધામ વચ્ચે કોઈ હરિફાઈ નથી. કેટલાક લોકો ખોટી રીતે આ વાતને આગળ લઈ જઈ ખોટું ચિત્ર ઉભું કરવાનો પ્રયાસ કરે છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, પોતે બંને સંસ્થા સાથે સંકળાયેલા છે. એટલા માટે પોતે કહે છે કે બંને સંસ્થા વચ્ચે કોઈ હરિફાઈ નથી. કોઈનું નામ કે ઉલ્લેખ કર્યા વિના નીતિન પટેલે એવી ટકોર પણ કરી હતી કે બધા થોડા ઉદાર બનો, એકબીજાને સમજતા, સ્વીકરાતા અને અપનાવતા થાઓ. જ્યારે જરુર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરુપ બતાવવાની તૈયારી રાખવી પડશે. આપણું સંગઠન હોય ત્યારે જ આ શક્ય બનશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ દરેક સમસ્યાનું સમાધાન છે. તેનાથી ગુજરાત અને દેશ બંનેને ફાયદો થશે. જે પણ સમાજ આગળ આવવા માગતો હોય તેની સાથે ઉભા રહેવાની સરકારની પૂરી તૈયારી છે.

(8:54 pm IST)