Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતમાં અકસ્માતના ઝઘડામાં સમાધાન માટે બોલાવી યુવાનને ચપ્પુના ઘા જીકતા સારવાર દરમ્યાન મૃત્યુ

સુરત: અકસ્માતમાં મોટરસાઇકલને થયેલા નુકશાનના ખર્ચના મુદ્દે સમાધાનના બહાને સચિન-પાલી ગામના યુવાનને ઉધનાના મસ્તાન નગરમાં બોલાવી ચપ્પુના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર દરમ્યાન મોત થતા ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. વીસેક દિવસ અગાઉ સચિન-પાલી ગામ બસ સ્ટેન્ડ નજીક રહેતા ગોવિંદ ઉર્ફે અન્ના વેંકટેશ વાલ્મિકી (ઉ.વ. 18) મિત્રને મળવા ઉધના વિસ્તારમાં આવ્યો હતો. તે દરમ્યાન ઉધના મસ્તાન નગર નજીક બે મોટરસાઇકલ સામ-સામે અથડાતા સામે વાળાની મોટરસાઇકલને નુકશાન થતા નુકશાનીના ખર્ચ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. દરમ્યાનમાં ગત શનિવારે રાત્રે મોટરસાઇકલની નુકશાનીના ખર્ચ મુદ્દે સમાધાનના બહાને ગોવિંદ ઉર્ફે અન્નાને ઉધનાના મસ્તાન નગરમાં બોલાવ્યો હતો. જયાં રોશન (રહે. મસ્તાન નગર, ઉધના) અને તેના મિત્ર આસીફ તથા શાબીરે ગોવિંદને ચાર-પાંચ તમાચા મારી દીધા હતા અને અંધારમાં લઇ જઇ ચપ્પુના ઘા માથા, પેટ અને હાથ-પગના ભાગે ઝીંકી દીધા હતા. ગોવિંદ પર હુમલો થયાની જાણ થતા તેનો મિત્ર પંકજ સિંગદા અને યોગેશ ઉર્ફે વિક્કી નિકાળજે (ઉ.વ. 24 રહે. ઘર નં. 222, મોરારજી વસાહત, ઉધના) તુરંત જ મસ્તાન નગર ખાતે દોડી ગયા હતા. પરંતુ હુમલો કરનાર રોશન અને તેના બંને મિત્રો ભાગી ગયા હતા અને ઇજાગ્રસ્ત ગોવિંદને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયાં ટુંકી સારવાર બાદ ગોવિંદનું મોત થતા ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી રોશન અને તેના બે મિત્રોની અટકાયત કરી છે.

(5:08 pm IST)