Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદથી પોરબંદર, કેશોદની સીધી ફલાઇટ સેવા શરૂ કરાશે

રાજ્‍યમાં વધુ ૪ પ્રાદેશિક રૂટ શરૂ કરાશે : ૫મી ડિસેમ્‍બરથી શરૂ થશે ફલાઇટ્‍સ : હાલમાં ચાલી રહેલા ૩ રૂટ્‍સ બંધ

અમદાવાદ તા. ૨૦ : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (AAI)ના અધિકારીઓએ સ્‍પષ્ટ કર્યું છે કે રાજયમાં નાના શહેરોને એર કનેક્‍ટિવિટી સાથે જોડવા માટે કેન્‍દ્ર સરકારની UDAN સ્‍કીમ અંતર્ગત ૫મી ડિસેમ્‍બરથી ૪ પ્રાદેશિક રૂટ શરૂ કરવામાં આવશે. જેમાં કંડલા, પોરબંદર, કેશોદ અને જલગાંવનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

ખાનગી સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ભારતની પ્રાદેશિક એરલાઈન ટ્રૂઝેટ આ શહેરો માટે ફલાઈટ્‍સ શરૂ કરશે. આ ફલાઈટ્‍સ ૫મી ડિસેમ્‍બરથી શરૂ થશે તેવું માનવામાં આવે છે. સૂત્રએ આગળ જણાવ્‍યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ આ માટે સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટને શિયાળા શિડ્‍યૂલમાં ફલાઈટ્‍સ શરૂ કરવા માટે ક્‍લિયરન્‍સ આપી દીધું છે.

આ ફલાઈટ્‍સના સંદર્ભમાં અન્‍ય ૩ રૂટ્‍સમાં ચાલી રહેલી ફલાઈટ્‍સને હાલ પુરતી સ્‍થગિત કરી દેવામાં આવી છે, અને તેમને ૫મી ડિસેમ્‍બરથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. સૂત્રએ જણાવ્‍યું, મુંદ્રા, દિવ અને જામનગરની ફલાઈટ્‍સ પહેલાથી જ ચાલી રહી છે. જોકે તેમાં કેટલીક મુશ્‍કેલી સર્જાતા આ રૂટને હાલ પુરતા બંધ કરવામાં આવ્‍યા છે. જોકે થોડા સમયમાં તે ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.

અધિકારીએ જણાવ્‍યું કે, નાના કેન્‍દ્રો પર પ્રાદેશિક રૂટથી ટુરીઝમ એક્‍ટિવિટીને પ્રોત્‍સાહન મળશે. આથી આ શહેરોમાં એર કનેક્‍ટિવિટી સાથે જોડવા મહત્‍વપૂર્ણ છે. જોકે આ માટે રિસ્‍પોન્‍સ ઓછો મળશે તે કહેવું હાલમાં ઉતાવળ ભર્યું હશે. વધારે શહેરોને જોડવાથી અને ફલાઈટ રાબેતા મુજબ શરૂ કરવાથી આપમેળે તેને પ્રોત્‍સાહન મળશે. ટ્રાવેલ એજન્‍ટ્‍સ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી મનિષ શર્માએ કહ્યું કે, UDAN અંતર્ગત ફલાઈટથી કનેક્‍ટ કરવામાં આવેલા શહેરો વિશે ઓછી જાગૃતતા છે. એરલાઈન્‍સે તેને પ્રમોટ કરવું જોઈએ. ચોક્કસ પણ તેનાથી ટુરીઝમને પ્રોત્‍સાહન આપશે.

(11:28 am IST)