Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અમદાવાદના વાડજ સ્થિત રામાપીરના ટેકરો ખાલી કરાવવા મામલે વાંધા અરજીના ઢગલા : લોકોએ લાઈનો લગાવી દીધી

1 હજારથી વધુ લોકોએ વાંધા અરજી કરી:આંકડો 5 હજારથી વધુ પહોંચે તેવી શક્યતા

અમદાવાદ: શહેરના વાડજ સ્થિત રામાપીરના ટેકરોને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ અનેક વખત માથાકૂટો થઇ ચુકી છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા સ્લમ કલીયરન્સ એરીયા (ઝુંપડપટ્ટી મુક્ત વિસ્તાર) જાહેર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના સંદર્ભમાં જાહેર જનતા પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેના કારણે ઉસમાનપુરા સ્થિત પશ્ચિમ ઝોનની કચેરી ખાતે સવારથી જ વાંધા અરજીઓ આપવા લાંબી લાઈનો સર્જાઈ હતી.ગઇકાલથી આજ સુધીમાં રામાપીર ટેકરા પર રહેતાં રહીશો દ્રારા વાંધા અરજીઓ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1500થી વધુ અરજીઓ થઇ ગઇ છે. તેમાંય આજના દિવસમાં 1 હજારથી વધુ અરજીઓ કરી હોવાની સ્થાનિક આગેવાન એડવોકેટ નરેન્દ્ર પરમારેે જણાવ્યું છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના વાડજ સર્કલથી ભાવસાર હોસ્ટેલ તરફ જતાં બી.આર.ટી.એસ. રૂટને સમાંતર રામાપીરનો ટેકરો તરીકે પ્રચલિત સ્લમ વસાહતોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ મંત્રાયલ દ્રારા સ્લમ એક્ટ 2011 તથા સ્લમ રીહેબીલીટેશન અને રીડેવલપમેન્ટ પોલીસી 2013 હેઠળ ઝુંપડા ઉન્નતિકરણ યોજનાઓ માટે સ્લમ રીહેબીલીટેશન કમિટીની મિટીંગમાં ઉપરોક્ત સ્લમ વિસ્તારને સ્લમ કલીયરન્સ એરીયા (ઝુંપડપટ્ટી મુક્ત વિસ્તાર) તરીકે જાહેર કેમ ન કરવો તે અંગે વાંધા/ સૂચનો મેળવવા અમદાવાદ મ્યુનિ. કમિશનર તરફથી જાહેર નોટીસ આપવામાં આવી હતી. આ વાંધા સૂચનો 2જી નવેમ્બર સુધી પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરને મોકલવા તાકીદ કરાઇ છે.

આ જાહેર નોટીસના પગલે સ્થાનિક રહીશો દ્રારા કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે, સ્થાનિકોને કાયદાકીય અગ્નાતાનો ગેરલાભ ઉઠાવી નોટીસ આપવામાં આવી હોવાથી તે ગેરકાયદેસર તથા ગેરબંધારણીય છે. જેની સામે અમારો સ્પષ્ટ વાંધો રજૂ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક લોકોની સંમંતિ વગર રીડેવલપમેન્ટ મંજુર કરી શકાય નહીં. છતાં પણ બોર્ડ કે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી વિના પી.પી.પી. યોજનાના નિયમો નેવે મૂકી રિડેવલપમેન્ટના ટેન્ડરો પાસ કર્યા હતા.

હવે જયારે રીડેવલપમેન્ટ સ્ક્રીમના નામે મોટાપાયે ગેરરીતી તથા ભ્રષ્ટ્રાચાર થયો હોવાની ફરિયાદો કરીને વિજિલન્સ તપાસની માંગણી કરી હતી. છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. સ્થાનિક લોકો સંમંત નથી એટલે સ્લમ કલિયરન્સની નોટીસ આપી જબરજસ્તીથી અમલ કરાવવા કાયદાનો દુરપયોગ થઇ રહ્યો છે. બિલ્ડરોને લાભ કરાવવા સ્થાનિક લોકોને ઘરવિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે આ નોટીસ અપાઇ છે. સ્લમ કલીયરન્સ બોર્ડ અને સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ બંને અલગ અલગ યોજના છે.

અમારી જાણકારી મુજબ એક જ સ્થળે બંને યોજનાઓ એકસાથે અમલ કરવાની જોગવાઇ હોઇ શકે નહીં.સ્થાનિક એસ.સી.,એસ.ટી.,ઓ.બી.સી. વર્ગને રખડતા કરવાના અને બંધારણની જોગવાઇઓ વિરુદ્ધ હક્ક અને અધિકાર છિનવવાના ભાગરુપે આપવામાં આવેલી હોવાથી અમને કબુલ મંજુર નથી અને બંધનકર્તા નથી.

10 મુદ્દાની કરાયેલી અરજીમાં છેલ્લે જણાવ્યું છે કે, સ્લમ ક્લિયરન્સ એરીયાની નોટીસના નામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રાર કોઇપણ પ્રકારની જોરઝુલ્મ કે અવિચારી પગલું ભરી ભારતીય બંધારણથી મળેલા અમારા અધિકારો ઉપર તરાપ મારવાની કોશિષ કરી બળજબરીપૂર્વક મકાન પાડવાનું ષડયંત્ર કરવામાં આવશે તો ના છૂટકે કંઇ અજુગતુ બનશે તો તેની સઘળી જવાબદારી નોટીસ બજાવનારા અધિકારીની રહેશે. અમારે ના છૂટકે આમરણાંત ઉપવાસ, આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે.

(11:45 pm IST)