Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

વોટર લાઇનની કામગીરી વેળા પટકાવાથી બે મજદૂરોના મોત

વિશાલા સર્કલ પાસેના બનાવને પગલે દોડધામ મચી : ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને મજદૂરોને બહાર કાઢયા પરંતુ બચાવવામાં નિષ્ફળતા

અમદાવાદ, તા.૨૦ : સરખેજ વિશાલા સર્કલ પાસે આજે વોટર લાઇન નાંખવાનું કામ ચાલુ હતુ તે દરમ્યાન પાણીની આ લાઇનના જોડાણની કામગીરી દરમ્યાન ચેમ્બરમાં પટકાવાના કારણે, બે મજૂરો આજે મોતને ભેટતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંને મજૂરોને વોટર લાઇનની ચેમ્બરમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા. જો કે, સમગ્ર ઘટના બાદ ગભરાઇ ગયેલો કોન્ટ્રાક્ટર ફરીદ કાઝી ફરાર થઈ ગયો હતો. મૃતક બંને મજૂરો મૂળ દાહોદના વતની એવા સુખરામ દલાભાઇ મોહનીયા અને સુનીલ રાજુ પલાશ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બીજીબાજુ, કોન્ટ્રાકટર ભાગી જવાના કારણે મજૂરઆલમ અને સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી અને આરોપી કોન્ટ્રાકટર વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવામાં માંગણી ઉચ્ચારવામાં આવી હતી. સરખેજ વિશાલ સર્કલ પાસે અલમુકમ ફલેટ નજીક વોટર લાઇન અને પાણીના જોડાણની કામગીરી ચાલી રહી છે તે માટે બે મજૂરો આજે કોઇક રીતે વોટરલાઇનની ચેમ્બરમાં પટકાયા હતા,.

                 જેના કારણે ગંભીર ઇજાઓ થવાના કારણે બંને મજૂરોના અકાળે મોત નીપજયા હતા. ઘટનાની જાણ થતાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને મજૂરોને ચેમ્બરમાંથી બહાર કાઢી તાત્કાલિક  સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. પરંતુ બંને મજૂરોના મોત નીપજયા હતા. બીજીબાજુ, ઘટના બાદ ગભરાઇ ગયેલો કોન્ટ્રાકટર ભાગી ગયો હતો તેથી હવે વોટર લાઇન માટે જીવનરક્ષક સાધનો વિના મજૂરોને કેવી રીતે કામગીરીમાં જોતર્યા તે સહિતના મુદ્દે કોન્ટ્રાક્ટરની પૂછપરછ થશે. બીજીબાજુ, કોન્ટ્રાકટર ભાગી જતાં મજૂરઆલમ અને સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ હતી. મૃતકના પરિવારજનો દ્વારા કોન્ટ્રાકટર વિરૂધ્ધ સખત કાર્યવાહીની માંગણી કરાઇ હતી.

(9:47 pm IST)