Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મુખ્યમંત્રી રૂપાણી સાથે સમરકંદના ગવર્નરની બેઠક યોજાઈ ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી થયા પ્રભાવિત

પ્રાકૃતિક ખેતીના ગહન અભ્યાસ માટે ઉઝબેકિસ્તાનનું જોઇન્ટ વર્કિગ ગૃપ ગુજરાત આવશે: ટેક્સટાઇલ્સ ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે ફળદાયી પરામર્શ.

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી.મુખ્યમંત્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિદ્ધિથી શ્રીયુત Erkinjon Turdimovને સુપેરે માહિતગાર કર્યા હતા.
   તેમણે આ ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતી કેમિકલ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ ઘટાડી મહત્તમ કુદરતી પદાર્થો અને પદ્ધતિથી થતી હોવાથી આરોગ્યને હાનિકારક જોખમો ઘટાડે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો.
  સમરકંદના ગવર્નર ગુજરાતની આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની સફળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા  આ હેતુસર સમરકંદ ગવર્નરએ ઉઝબેકિસ્તાનના બાયોટેકનોલોજી ક્ષેત્રના તજજ્ઞો અને ખેડૂતોનું એક જોઈન્ટ વર્કીંગ ગૃપ ગુજરાતની પ્રાકૃતિક ખેતી પદ્ધતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે મોકલવાનો સૂઝાવ વ્યક્ત કર્યો હતો.
   મુખ્યમંત્રીએ પણ આ વર્કીંગ ગૃપની મૂલાકાત દરમિયાન રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
  વિજયભાઇ રૂપાણીએ પ્રાકૃતિક ખેતીની વિશદ્ ભૂમિકા આપતાં સમરકંદ ગવર્નરને એમ પણ કહ્યું કે, આ ખેતીમાં ગૌમૂત્ર અને છાણનો અન્ય કુદરતી પદાર્થો સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં એક ગાયના છાણ-મૂત્રથી અંદાજે ૧૦ હેક્ટર જમીનને પોષક તત્વ ખાતર તરીકે મળી રહે છે.
  આ બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્ર સહિત ટેક્ષટાઇલ, ફાર્મા, એગ્રો પ્રોસેસિંગ અને પ્રવાસનના ક્ષેત્રોમાં પણ પરસ્પર સહયોગ માટે મુખ્યમંત્રીશ્રી અને સમરકંદ ગવર્નરશ્રી વચ્ચે ફળદાયી વિચાર વિમર્શ થયો હતો.
ગુજરાત પ્રતિનિધિમંડળના ઉચ્ચ અધિકારીઓ, ડેલિગેટ્સ તેમજ સમરકંદ-ઉઝબેકિસ્તાનના મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર તેમજ ઇનોવેટીવ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા

(8:29 pm IST)