Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ અપડેટ થશે

ફાયરબ્રિગેડ દ્વારા કવાયત હાથ ધરવામાં આવશેઃ સંબંધિત બિલ્ડીંગના જવાબદાર વ્યકિત સાથે અધિકારીઓ તબક્કાવાર બેઠકનું આયોજન કરી સિસ્ટમ અપડેટ કરશે

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરનાં કોમર્શિયલ બિલ્ડિંગોને ફાયર સેફટીની સિસ્ટમ અપડેટ કરવા માટે હવે કમર કસી છે. જેના ભાગરૂપે ફાયરબ્રિગેડ તંત્ર દ્વારા શહેરના આવા કોમર્શીયલ  બિલ્ડિંગની જવાબદાર એવી બે વ્યક્તિ સાથે તબક્કાવાર મિટિંગનું આયોજન કરાયું હતું, જોકે હવે આ મામલે તંત્ર દ્વારા ફરીથી મિટિંગ ગોઠવીને તેમને સમજાવાશે. અમદાવાદ શહેરમાં ૬૦૦થી વધારે કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ તેમાં નેશનલ હેન્ડલૂમ હાઉસ, ઇસ્કોન મેગા મોલ, હિમાલયા મોલ, ડી-માર્ટ, સ્ટાર બજાર, ૧૦ એકર્સ મોલ, શ્રી બાલાજી અગોરા મોલ, ગુલમહોરપાર્ક મોલ, સંગાથ મોલ ઓરેન્જ મોલ અને ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ઓડિટોરિયમ એન્ડ એકિઝબિશન વગેરેનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની સૂચનાથી ગત ઓગસ્ટ મહિનાના અંતમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આ તમામ મોલ સહિતના કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં હયાત ફાયર સિસ્ટમને અપડેટ કરવા સંબંધિત હાઇરાઇઝ બિલ્ડિંગની બે જવાબદાર વ્યક્તિ સાથે બેઠક ગોઠવાઇ હતી તેમજ તમામ જવાબદાર વ્યક્તિને એક મહિના સુધીના સમયગાળામાં ફાયર સિસ્ટમને ઓકે કરાવી લેવાની તાકીદ કરાઇ હતી. આ અગાઉ તંત્ર દ્વારા તમામ કોમર્શિયલ બિલ્ડિંગના કર્તાહર્તાને પત્ર પાઠવાયા હતા. આમ તો શહેરનાં ૭પ ટકા કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ નખાઇ છે, પરંતુ તેની કાર્યક્ષમતા સામે પ્રશ્નાર્થ સજાર્યો છે. ફાયર સેફટીને કાર્યરત કરવા જરૂરી સાધનસામગ્રી બેસાડીને તંત્રની એનઓસી મેળવવાની સત્તાવાળાઓની તાકીદ હતી. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ દ્વારા સંબંધિત બિલ્ડિંગની બે જવાબદાર વ્યક્તિ સાથે નજીકના ફાયર સ્ટેશન ખાતે ગોઠવાયેલી મિટિંગનો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે રજૂ કરાયો હતો, જોકે ફાયર સેફટીને અપડેટ કરવાના મામલે કોમર્શિયલ બિલ્ડિંગો તરફથી ખૂબ જ નિરાશાજનક પ્રતિસાદ મળતાં હવે ફરીથી સમજાવટ હાથ ધરાશે. બીજા અર્થમાં જીડીસીઆર-ર૦ર૧ તેમજ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇટ સેફટી મેઝર્સ એકટ-ર૦૧૩ અને જીપીએમસી એકટ-૧૯૪૯ની પ્રવર્તમાન જોગવાઇ હેઠળ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર પ્રિવેન્શન પ્રોટેકશન (ફાયર સેફટી) કાર્યરત હોવી અને નિયત સમયમર્યાદામાં તે અંગેનું ફાયર એનઓસી મેળવી લેવું જરૂરી હોવા છતાં તંત્ર આ મામલે લાલ આંખ કરવાના બદલે હળવાશ અપનાવશે. શકય એટલી ઝડપથી કોમર્શીયલ બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટીની સુવિધા અસરકારક રીતે અમલી બનાવી કાર્યરત કરાવાશે.

(11:15 pm IST)