Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પનામાં ગુડ ગર્વનન્સ-વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ નિર્માણમાં ગુજરાત વિશેષ યોગદાન આપશે: વિજયભાઈ રૂપાણી

ગુજરાત યુનિવર્સિટી-જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC તાલીમ કેન્દ્રનો ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનની ‘નયાભારત-આત્મનિર્ભર ભારત’ની નેમ સાકાર કરવા અને રામ રાજ્યની સંકલ્પના પાર પાડવા વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ-લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં ગુજરાત વિશેષ યોગદાન આપશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિમાં અગ્રેસર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ વિકાસની રાજનિતીથી સુશાસન-ગુડગર્વનન્સ દ્વારા દેશમાં વિકાસના નવા સિમાચિન્હો અંકિત કર્યા છે.
  આ હેતુસર સારા વહિવટ કર્તાઓના નિર્માણ માટે ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનનું UPSC ટ્રેનિંગ સેન્ટર યુવાઓને મોટી તક આપશે.
  મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટી અને JIO દ્વારા અમદાવાદમાં શરૂ થયેલા UPSC ટ્રેનિંગ સેન્ટર ‘પ્રજ્ઞા પીઠમ’ના ઇ-લોકાર્પણ પ્રસંગે સંબોધન કરી રહ્યા હતા.
  આ સેન્ટરના ઇ-પ્રારંભ અવસરે જૈનાચાર્ય પૂજ્ય ગુણીવર્ય નયપદ્મસાગરજી મહારાજ સાહેબ અને વિદૂષી આર્યા સાધ્વી  મયણાશ્રી મહારાજ સાહેબ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરી બહેન દવે તથા શિક્ષણ અગ્રસચિવ અંજૂ શર્મા પણ વીડિયો લિંકથી જોડાયા હતા
  મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, આપણી પરંપરા ઉપનિષદથી ઉપગ્રહની સમન્વયકારી છે એટલે કે સુશાસન-સેવાકાર્યોમાં સૃષ્ટિના કલ્યાણ, જીવદયા કરૂણાના આગવા સંસ્કાર સાથે આધુનિક યુગના નવા અવિષ્કારો-આયામોથી માનવજાતના કલ્યાણનો સ્વનો નહીં સમષ્ટિના વિચાર આપણે કરીએ છીએ.
  આજ પથ પર ચાલીને ‘નયાભારત-આત્મનિર્ભર’ ભારતના નિર્માણનો પથ કંડારી શકાશે અને તે માટે કૌશલ્ય-જ્ઞાન, ઉચ્ચ ગુણવત્તાવાળું માનવબળ- યુવાશક્તિ તૈયાર કરીને તેમની સેવાઓનો રાષ્ટ્રનિર્માણમાં લાભ લેવામાં આવા તાલીમ કેન્દ્ર મહત્વપૂર્ણ બનશે.
  તેમણે આવનારી સદી ભારતની સદી બની રહેવાની છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, સૌના કલ્યાણ માટે, છેવાડાના માનવીના ઉત્થાન માટે યુવાશક્તિને ઉચ્ચ સેવામાં જોડવામાં આવા તાલીમ કેન્દ્રો એ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે.
  શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઘટનાને લેન્ડમાર્ક અને યાદગાર દિવસ ગણાવતા જણાવ્યું કે, ગુજરાતે યુવાનોના કૌશલ્યને નવી દિશા આપવાની અનેક પહેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશા-દર્શનમાં કરી છે.
  તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, અટલ લેબ રેન્કિંગ અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતે દેશમાં અગ્રતા ક્રમ મેળવ્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
  શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી શરૂ થઇ રહેલું આ UPSC તાલીમ કેન્દ્ર સમાજની પીડા, દર્દ સમજી શકે તેનું નિવારણ લાવી શકે તેવી યુવાશક્તિને ઉચ્ચ સેવામાં જોડવાનું એક સક્ષમ પ્લેટફોર્મ બનશે.
તેમણે ઉમેર્યું કે, ધર્મસંસ્થા અને શિક્ષણ સંસ્થાઓનો આ સમન્વય સંસ્કારી અધિકારીઓનું નિર્માણ કરશે.
  પૂજ્ય આચાર્ય નયપદ્મસાગર મહારાજ સાહેબે યુવાનોને સંસ્કાર સાથે ઉચ્ચ ગુણવત્તાની સ્કીલ ડેવલપમેન્ટથી રાષ્ટ્ર રાજ્ય સેવામાં સમર્પિત થવામાં JIO નિમીત બન્યું છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એક સંવેદનશીલ શાસનકર્તા તરીકે જીવમાત્રના કલ્યાણની જે ખેવના રાખે છે તેમાં આવા યુવાનો પૂરક બનશે એમ પણ તેમણે મુખ્યમંત્રીના સેવા કાર્યોની પ્રેરણા કરતા ઉમેર્યું હતું.
 વિદૂષી આર્યા સાધ્વી શ્રી મયણાશ્રી મહારાજ સાહેબએ ગુજરાતની ભૂમિ પર થઇ રહેલા પૂણ્યશાળી કાર્યો અને ખાસ કરીને નારી શક્તિને ઉચ્ચશિક્ષણ, ઉચ્ચ તાલીમ અવસરો આપવા માટે રાજ્ય સત્તાનો, મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
  તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી સામે પણ સજ્જતાથી લડવાનો જે માર્ગ ગુજરાતે વિજયભાઇના નેતૃત્વમાં લીધો છે તે પણ આજે સૌના મુખે ચર્ચામાં છે અને તેને અનુસરવામાં આવે છે.
  સદકાર્યોમાં સંતશક્તિના આશીર્વાદ અને સહયોગથી માનવજાતના કલ્યાણ કામોમાં પણ ગુજરાત અગ્રેસર રહેશે તેવી શુભકામના તેમણે આપી હતી.
 પ્રારંભમાં ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાશું પડ્યાએ સૌને આવકાર્યા હતા.
આ અવસરે મુખ્યમંત્રી દ્વારા પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન એન્ડ રિસર્ચ પ્રોજેક્ટ, ડો.અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઇનોવેશન, ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ તથા સેન્ટર ફોર કોમ્યુટેશનલ સ્ટડીઝનો પણ ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યો હતો.

(8:47 pm IST)