Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

સુરત એરપોર્ટ પર સ્‍પાઇસ જેટનું પ્‍લેન મોટી દુર્ઘટનામાંથી ઉગરી ગયું

લેન્‍ડીંગ સમયે વિમાનની સ્‍પીડ વધારે હતી જેથી પાઇલોટને સુચના આપી ફરી રનવે પરથી પ્‍લેન એકવાર ટેકઓફ કરવું પડયું ૧૮૯ મીટર પ્‍લેન દિલ્‍હીથી સુરત આવ્‍યું હતું.

સુરત :સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટ પ્લેન (spice jet) ને બે વાર લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પાયલોટ દ્વારા સ્પીડ ઘટાડવામાં આવી ન હતી. લેન્ડિંગ સમયે વિમાનની સ્પીડ વધારે હતી. તેથી સુરત એરપોર્ટ કન્ટ્રોલ (surat airport) દ્વારા પાયલોટને મેસેજ આપવામાં આવ્યો હતો. સ્પીડ વધારે હોવાથી રન-વે પરથી પ્લેન ફરી એક વાર ટેક ઓફ કરાયું હતું.

એરપોર્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્પાઈસ જેટનુ 189 સીટર પ્લેન દિલ્હીથી સુરત આવી રહ્યું હતું. આ ફ્લાઈટની લેન્ડિંગ સુરત એરપોર્ટ પર રનવે નંબર 22 પર થવાની હતી. વિમાન જ્યારે સુરતના એર સ્પેસમાં પહોંચ્યું તો લેન્ડિંગ માટે તૈયારી કરી રહ્યું હતું. વિમાન રનવે પર એકદમ નજીક આવ્યું ત્યારે એરપોર્ટ કન્ટ્રોલે જોયું કે, ફ્લાઈટની સ્પીડ લેન્ડિંગ માપદંડ કરતા વધુ હતી. તેનાથી ફ્લાઈટના રનવે પર ખોટી રીતે ટચ ડાઉન થવાની શક્યતા હતી.

આવી સ્થિતિમાં જો ફ્લાઈટ લેન્ડ કરે તો ટચ ડાઈન પોઈન્ટ બદલી શકે છે. જેનાથી વિમાન રનવે પર ન રોકાઈને રનવેની બહાર સ્કિડ કરી શકે છે. તેમજ રનવે પર જો સેફ્ટી એરિયામાં ઘૂસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. જોકે, આ તમામ શક્યતાઓને બદલી દેવામાં આવી હતી. સ્પીડ વધારે હોવાથી રનવે પરથી પ્લેન ફરી એકવાર ટેકઓફ કરાયુ હતું, અને ફરીથી સલામત રીતે લેન્ડિંગ કરાયું હતું

ઉલ્લેખનીય છે કે, 2019 ના જુલાઈ મહિનામાં ભોપાલથી આવી રહેલા ફ્લાઈટની સાથે પણ આવુ જ થયું હતું. ત્યારે પાયલટે સતર્કતા દાખવી ન હતી, અને વિમાન લેન્ડિંગ ટચ ડાઉન પોઈન્ટથી 300 મીટર આગળ થયું હતું. જેનાથી વિમાન સ્લીપ ખાઈને રનવે એન્ડ સેફ્ટી વિસ્તારમાં જઈને કીચડમાં ઘૂસી ગયું હતું.

 

(12:00 pm IST)