Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

અમદાવાદ: ટ્રેન રસ્‍તે અમદાવાદ આવતા રેલ્‍વે મુસાફરોનું ટેસ્‍ટીંગ : રપ કેસ પોઝીટીવ મળ્યા : ૧૩ ને કોવીડ કેસમાં જયારે ૧રને હોમ કવોરોન્‍ટાઇન કરાયા

અમદાવાદ: ટ્રેન રસ્‍તે અમદાવાદ આવતા રેલ્‍વે મુસાફરોનું અમદાવાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે ટેસ્‍ટીંગ કરાતા ૧૬૩૬ ટેસ્‍ટીંગમાંથી રપ કેસ પોઝિટીવ મળ્યા હતા. જેમાંના ૧૩ને નજીકના કોવીડ કેર સેન્‍ટરમાં જયારે ૧ર ને હોમ કવોરોન્‍ટાઇન કરાયા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. શનિવારના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 765 મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 14 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 406 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 465 પ્રવાસીઓની ચકાસણીમાં 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

આમ સરવાળે શનિવારના રોજ કુલ 1636 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 25 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(12:01 am IST)