Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમદાવાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં મુસાફરોના ટેસ્ટિંગમાં વધુ 25 પોઝિટિવ કેસો મળ્યા

રાજધાની એક્સપ્રેસના મુસાફરોમાં સૌથી વધુ 14 કેસ મળ્યા : કુલ 25 કેસમાંથી 12 દર્દીઓને કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરાયા

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે શનિવારે સતત 13મા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. જેમાં આજે 1636 મુસાફરોના કોરોના ટેસ્ટ કરાયા હતા તેમાંથી 25 કેસો પોઝિટિવ મળ્યા છે  સૌથી વધુ રાજધાની એક્સપ્રેસમાં આવેલા 14 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. આ 25 કેસો પૈકીના 13 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બનાવાયેલ  કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરાયા  હતા. જયારે બાકીના 12 દર્દીઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.

અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. શનિવારના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 765 મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 14 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 406 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 465 પ્રવાસીઓની ચકાસણીમાં 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.

આમ સરવાળે શનિવારના રોજ કુલ 1636 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 25 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(12:23 am IST)