Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આંકલાવના ખડોલ નજીક ખેતરમાંથી યુવાનની લાશ મળી આવતા તપાસ શરૂ

આંકલાવ: તાલુકાના ખડોલ (હ)ગામે આવેલા રાજનગર રોડ ઉપર રહેતા એક યુવાનની આજે સવારના સુમારે ખેતરના શેઢામાંથી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે હાલમાં તો આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ખડોલ (હ)ગામે રહેતો રાજેશભાઈ જશભાઈ સોલંકી (ઉ. વ. ૩૦)ગઈકાલે સાંજના સુમારે ચા-મોરસ લેવા જાઉ છુ તેમ જણાવીને ઘરેથી નીકળ્યો હતો જે મોડીરાત સુધી ઘરે પરત ફર્યો નહોતો જેથી ઘરવાળાએ ત્યારે તપાસ કરી નહોતી, પરંતુ સવાર સુધીમાં પરત ના આવતા શોધખોળ શરૂ કરી હતી જેમાં પડોશમાં રહેતા ભરતભાઈ ડાહ્યાભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે, રાજેશની લાશ મનુભાઈ ધનજીભાઈ રાજના ખેતરના શેઢા ઉપર પડી છે જેથી પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતાં મરણ ગયેલો શખ્સ રાજેશભાઈ જ હોવાની ઓળખ થઈ હતી. તેના કાનના ભાગમાંથી લોહી નીકળતુ હતુ. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. આંકલાવ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને લાશનો કબજો લઈેન પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જ્યાં પીએમ કરવામાં આવતા મોતનુ ંસાચુ કારણ બહાર આવ્યુ નહોતુ જેથી વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 
સુત્રોના જણાવ્યા અનુસાર મરણ જનાર રાજેશભાઈ પરિણીત હતો અને તેને બે સંતાનો પણ છે, તે વિધવા માતા મંજુલાબેન સાથે રહેતો હતો અને ખેતીકામ તેમજ ખેતર ભાગે રાખીને ખેડવાનું કામ કરી જીવન ગુજરાન ચલાવતો હતો. તેના રહસ્યમય મોતને લઈને ગામમાં અનેકવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

(6:44 pm IST)