Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હવે રાજ્યનું એકપણ ગામ સંપર્કવિહોણુ નથી : રૂપાણી

એનડીઆરએફની ૨૨ ટીમો કામે લાગેલી છે : ઘરવખરી નુકસાન સર્વે માટે મહેસુલ વિભાગની ૩૨૪ ટીમો કાર્યરત : ખેતી નુકસાન, જમીન ધોવાણ માટે ટીમ

અમદાવાદ,તા. ૧૯ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિ, ભારે વરસાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ બેઠક યોજવામાં આવી હતી. રૂપાણીએ બેઠક બાદ ઉભી થયેલી સ્થિતિનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તરાોના રસ્તા, વિજળી, પાણી, આરોગ્ય, ઘરવખરી, કેસડોલ્સ સહાય, ખેતીની જમીનની સ્થિતિ સંપૂર્ણ વિગતો મેળવી હતી. રૂપાણીએ માહિતી આપતા કહ્યું છે કે, રાજ્યનું એક પણ ગામ હવે સંપર્કવિહોણુ નથી. એનડીઆરએફની ૨૨ ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. ઘરવખરી નુકસાન સર્વે માટે મહેસુલ વિભાગની ૩૨૪ ટીમો લાગેલી છે. ૨૮૯ ગામોની ખેતીને નુકસાન, જમીન ધોવાણ સર્વે માટે ૧૨૦ ટીમની રચના કરવામાં આવી છે. રોગચાળા અટકાયત આરોગ્ય સુવિધા માટે ૨૯૦ ટીમો કાર્યરત થયેલી છે. તંત્રની સતર્કતાના પગલે ૨૬૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ સુધી ૨૭૩૦૦ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ૪૦૨૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૪૨૫ માર્ગો રિપેર કરવામાં આવ્યા છે. ૧૩ જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. વિજ પુરવઠાને અસર પડેલા તમામ ૩૫૧૫ ગામોમાં વિજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. વરસાદની અસર ઓછી થતાં રોગચાળાને રોકવા માટે સાફ સફાઈ અને આરોગ્ય વિષયક પગલા લેવા માટે જિલ્લાઓને કહેવામાં આવ્યું છે. રાજ્યમાં સારા વરસાદથી ખેતી પાક સારો થશે. પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં. ગયા વર્ષે ૧૮મી જુલાઈની સરખામણીમાં આ વર્ષે ૩ ટકા વધુ વરસાદ થયો છે. વર્ષ ૨૦૧૮માં ૪૫ ટકા અને ૨૦૧૭માં ૪૨ ટકા વરસાદ આ ગાળા દરમિયાન નોંધાયો હતો. રૂપાણીએ વિગત આપતા કહ્યું હતું કે, જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે ત્યાં કંડાણા જળાશય, સુજલાફ સુફલામ જળથી તળાવો ભરીને કચ્છ-મોરબી માળિયા, ધાંગ્રધ્રા સુધી નર્મદા કેનાલમાં પાણી વહાવી ખેતી પાકો માટે ખેડૂતોને પાણી અપાશે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રચાર માધ્યમોને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ અને રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાની માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વરસાદ બિલકુલ થયો નથી તેવા કોઇ જ વિસ્તાર, તાલુકા રાજ્યમાં નથી. રાજ્યના ૨૨૫ તાલુકામાંથી પાંચ ઇંચથી ઓછા વરસાદવાળા ૬૦ તાલુકા રહ્યા છે. હજુ પણ વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોને તમામ સુવિધા આપવામાં આવશે. ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે. સાત જળાશયો ૯૧થી ૯૯ ટકા ભરાયા છે. ૨૪ જળાશયો ૬૦ ટકા સુધી ભરાયા છે.

(8:36 pm IST)