Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કોરોનાની બીજી લહેર શાંત થતા અમદાવાદીઓ બેખોફ

ટોળે વળીને બિન્દાસ્ત ફરતા દેખાયા : યુનિવર્સિટી અને એલડી એન્જિનીયરીંગ કોલેજ વચ્ચે આવેલી ખાણી-પીણીની લારીઓ પર નાસ્તાની મજા માણવા ઉમટ્યા

અમદાવાદ,તા.૨૦ : કોરોનાની બીજી લહેર શાંત થતા જ અમદાવાદીઓ નિશ્ચંત બન્યા હોય તેવા દ્રશ્યો હાલ ઠેરઠેર દેખાઈ રહ્યાં છે. ખાણીપીણીના સ્ટોલ પર ફરીથી ભીડ જોવા મળી રહી છે. તો સાથે જ અમદાવાદના માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. રવિવારની રજા હોવાથી અનેક લોકો બિન્દાસ્તપણે બહાર નીકળી ગયા છે. જે જોખમી છે. કોરોના હજી ગયો છે, ખતરો હજી ટળ્યો નથી, ત્યારે આવી રીતે બહાર નીકળવું કેટલુ યોગ્ય કહેવાય. ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનીયરીંગ કોલેજ વચ્ચે આવેલી ખાણી-પીણીની લારીઓ પર નાસ્તાની મજા માણવા શહેરીજનો ઉમટ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ સ્પષ્ટ નજરે પડ્યો હતો. દેશભરમાં ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે, એવામાં આ દ્રશ્યો તંત્ર માટે ચિંતાજનક છે. રવિવારે રજાના દિવસે ઘરે રહીને સલામત રહેવાને બદલે શહેરીજનો બિન્દાસ્ત મોજ માણતા નજરે પડ્યા છે. આ પ્રકારના વર્તણુકથી તજજ્ઞો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

       અમદાવાદીઓ સરકારે આપેલી છૂટનો બિન્દાસ્તપણે ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતા સરકારે કેટલીક રાહત આપતા અમદાવાદીઓ નિશ્ચિત બન્યા છે. અમદાવાદના ભદ્ર બજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી માટે ઉમટ્યા છે. કપડાં તેમજ ઘરવખરીની ચીજ વસ્તુઓની ખરીદી કરવા ભદ્ર બજારમાં શહેરીજનો ઉમટ્યા છે. જેમાં અનેક લોકો માસ્ક વિના ખરીદી કરતા નજરે પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ભદ્ર બજારમાં આવતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઊડતા જોવા મળ્યા. વેપાર કરવો વેપારીઓની મજબૂરી છે. પરંતુ ખરીદી માટે માસ્ક ના પહેરવું અને સોશિયલ ડિસ્ટનસિંગ ના જળવાય એ રીતે ખરીદી કરવી કેટલું યોગ્ય? બીજી લહેર શાંત થયા બાદ તજજ્ઞો ત્રીજી લહેરને લઈ ચિંતિત છે, વારંવાર સાવચેત કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જોતા કેવી રીતે રોકી શકીશું કોરોનાની ત્રીજી લહેરને? શહેરીજનો કેમ નથી જળવતા સ્વયંશિસ્ત ? જીવન કરતા પણ વધુ જરૂરી બની ગઈ છે કપડાં તેમજ અન્ય શણગારની ચીજોની ખરીદી ?

(7:41 pm IST)