Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

દિવ્યાંગોની ચિંતા ના કરતો સમાજ સ્વયં દિવ્યાંગ છે.:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જામનગરમાં યોજ્યો ૩૪૦ મો સાધન સહાય વિતરણ કાર્યક્રમ:કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ:દિવ્યાંગોની ચિંતા અને તેમના વિકાસનો સર્વગ્રાહી : ભાવ એ સશક્ત સમાજ નું કર્તવ્ય બને છે :જામનગરમાં ૩,૮૨૫ દિવ્યાંગજનોને રૂપિયા ૩ કરોડ ૬૫ લાખના ૬૨૨૫ વિવિધ સાધન સહાયનું વિતરણ :જામનગરના સાંસદની ગ્રાન્ટમાંથી રૂ ૨૬.૪૦ લાખના ખર્ચે ૨૨૦ મોટર ટ્રાઈસિકલ દિવ્ય્યાંગજનોને આપવામાં આવી

અમદાવાદ :મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ જામનગર ખાતે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય યોજિત દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા જણાવ્યું કે દિવ્યાંગજનોની ચિંતા અને તેમના વિકાસનો સર્વગ્રાહી ભાવ સશક્ત સમાજ નું કર્તવ્ય બને છે.

 તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે જે સમાજ દિવ્યાંગજનો ની ચિંતા કરતો નથી તે સમાજ સ્વયં  દિવ્યાંગ છે  મુખ્યમંત્રીના વર્ચ્યુઅલ અધ્યક્ષ સ્થાને આયોજિત આ દિવ્યાંગ સાધન સહાય વિતરણ શિબિરમાં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોત,  રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વ આર.સી.ફળદુ,  ઇશ્વરભાઇ પરમાર,  ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓ, ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના સાહસ ‘એલિમ્કો’ અને જામનગર જિલ્લા પ્રાશાસન આયોજિત આ શિબીરમાં  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના નિર્માણ અને સશક્ત રાષ્ટ્ર માટે દિવ્યાંગજનોને પણ વિકાસની ધારામાં સાથે લઈને ચાલવાનું કલ્ચર ડેવલપ કર્યું છે.
ગુજરાતમાં પણ રાજ્ય સરકારે દિવ્યાંગજનોને શિક્ષણ,  રોજગારી સહિતના ક્ષેત્રોમાં સહાયરૂપ થઈ સમાજમાં તેમના સન્માનભેર પુન:સ્થાપનની યોજનાના અસરકારક રીતે અમલી બનાવી છે.  રાજ્ય સરકારે વર્ષ 2020માં રૂપિયા ૬ કરોડ ૫૭ લાખના ખર્ચે ૭,૪૫૧ દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાય પૂરી પાડી પગભર કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.   મુખ્યમંત્રીએ કહ્યું કે દિવ્યાંગો પોતાને કમજોર મહેસુસ ના કરે તેમ જ તેમનું જીવન પણ આત્મસન્માન ભર્યું હોય તેવી સંપૂર્ણ સંવેદના સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે તથા સમાજ સમસ્તે દિવ્યાંગોના કલ્યાણ કાર્યોને વેગવાન બનાવ્યા છે.  દિવ્યાંગજનોની સરળતા માટે નવી આઈ.ટી પોલીસી,  સુગમ્ય ભારત અભિયાન અન્વયે દિવ્યાંગોને જાહેર સ્થાનોમાં અવરજવરની તકલીફ ન પડે તેવી સુવિધાઓ દેશમાં વિકસાવવામાં આવી છે.  
એટલું જ નહીં પ્રધાનમંત્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 અન્વયે દિવ્યાંગોને વિવિધ અધિકારો અને વિશેષ સુવિધાઓ પણ આપી છે એમ તેમણે ઉમેર્યું હતું. 
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે આ પ્રસંગે જણાવ્યું કે દેશના સર્વાંગી અને  બહુમુખી વિકાસ તેમજ ’સૌના સાથ સૌના વિકાસ’ની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાને પરિણામે દેશભરના દિવ્યાંગજનોના કલ્યાણની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે.  તેમણે કહ્યું કે દિવ્યાંગોના શિક્ષણ, રોજગાર, વિદેશ અભ્યાસ સહાય જેવા કલ્યાણ કાર્યો માટે કેન્દ્ર સરકારે અને દેશના અન્ય રાજ્યોએ યોજનાઓ ઘડી છે.
 તદઅનુસાર શિક્ષણમાં ૪ ટકા અને ઉચ્ચ શિક્ષણમાં ૫ ટકા આરક્ષણ બહુધા રાજ્યોએ સ્વીકાર્યું છે તે સરાહનીય છે. થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે પહેલા ૭ પ્રકારની દિવ્યાંગતા ને આવરી લેવાઈ હતી અને વર્તમાન સરકારે વધારીને ૨૧ પ્રકારની દિવ્યાંગતાને આવરી લીધી છે. દિવ્યાંગજનોની સુગમતા માટે દેશના ૩૫ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો, ૫૫ ડોમેસ્ટિક હવાઇ મથકો ૭૦૯  રેલવે સ્ટેશનો અને ૧૦,૧૭૫ બસ સ્ટેશનોને સુગમ્ય બનાવવામાં આવ્યા છે. 
   કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારે દિવ્યાંગોને વિદેશ અભ્યાસ સ્કોલરશીપ અન્વયે ૨,૮૦૦  ઉપરાંત છાત્રોને ૮ કરોડથી વધુ શિષ્યવૃત્તિ આપી છે. ગુજરાતમાં સરકારી ભવનોમાં દિવ્યાંગોને અવરજવરની સરળતા માટે રેમ્પ જેવી સગવડો માટે ૨૬ ભવનો માટે ૧ કરોડ ૧૪ લાખની રકમ ફાળવી છે.
ગેહલોતે જણાવ્યું કે દિવ્યાંગોને દેશભરમાં ૫૮ લાખ યુ.ડી.આઇ.ડી કાર્ડ આપવામાં આવ્યા છે જે હવે બધા રાજ્યો જિલ્લાઓમાં એક્સેસ થઈ શકશે.  તેમણે એમ પણ કહ્યું કે આવી સાધન સહાય વિતરણ શિબિરોથી દિવ્યાંગજનોના જીવનમાં ચેતના નો નવો સંચાર થાય છે.
 આ અવસરે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે  જામનગર સંસદીય મત ક્ષેત્રમાં આવા કાર્યક્રમ યોજી ૬૦૦૦ જેટલા સાધનો ૩,૮૦૦  ઉપરાંત દિવ્યાંગોને કોવીડના પ્રોટોકોલ  સાથે વિતરણ કરવા માટે સાંસદ શ્રીમતી પૂનમબેનને અભિનંદન પાઠવ્યા હતા.  
 કૃષિમંત્રી આર.સી.ફળદુ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર કેન્દ્રીય સચિવ અંજલી ભાવડા વગેરે પ્રાસંગિક સંબોધનમાં આ ઈશ્વરીય કાર્યની સરાહના કરી હતી.
 સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે પોતાનાં ક્ષેત્રને આ કાર્યક્રમની ભેટ આપવા માટે તેમજ આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શન માટે કેન્દ્રીય મંત્રી ગેહલોત અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંવેદનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે,  દિવ્યાંગો પ્રત્યેની જન પ્રાતિનિધી તરીકેની પોતાની  સામાજિક દાયિત્વની ભાવનાથી પ્રેરિત થઈને  તેમણે પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી રૂ. ૨૧૬.૪૦ લાખ મોટર ટ્રાઈસિકલ માટે આપ્યા છે.  
 જામનગર જિલ્લા વહીવટી તંત્રે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવાનું બહુઆયામી આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીનાબેન,  જિલ્લા-શહેર પદાધિકારીઓ પણ જોડાયા હતા.

(5:15 pm IST)