Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સુરતના વલથાણ ચોકડી ઉપર ૨ આશાસ્પદ યુવકોના મોત બાદ સ્થાનિકો દ્વારા સૂત્રોચ્ચારઃ ઓવરબ્રિજ બનાવવાની માંગણી

સુરત :સુરતના કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા માંકણા ગામના બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને આજે ગ્રામજનો નેશનલ હાઇવે પર અમદાવાદથી મુંબઈ અને મુંબઈ અમદાવાદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોએ અડધો કલાક ઓવરબ્રિજની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો

17 જૂને બે યુવકોના મોત થયા હતા

17 જૂનના રોજ ખાનગી બસની અડફેડે અહીં દિનેશ ડોલર અને મેહુલ ડોલર નામના બે આહીર યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોની આત્માને શાંતિ મળે એ માટે માંકણા ગામે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ રોષે ભરાયેલા ગામ લોકો નેશનલ હાઇવે 48 પર પહોંચ્યા હતા. હાઈવે ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અડધો કલાક સુધી હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ સરકારની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ આ મામલે કામરેજ મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપ્યું છે.

સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે, આ જગ્યા અકસ્માત પોઈન્ટ હોવાથી ઓવરબ્રિજ બનાવવાનું જાહેર કરાયું હતું, પણ રાજકીય કિન્નાખોરીના કારણે હવે એ કામ અટવાઈ ગયું છે. જોકે બંને યુવકોના મોત બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે વર્ષમાં 15 જેટલા મોટા અકસ્માત આ જગ્યા પર  થયા છે, જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. ત્યારે વધુ બેના મોત થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે વિરોધ કરતા કહ્યું કે, જો આ જગ્યા પર ઓવરબ્રિજ નહીં બનાવાય તો આવનાર સમયમાં ગ્રામજનો આંદોલન ઉગ્ર બનાવશે.

(5:07 pm IST)