Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

જળ અભિયાન એ ગુજરાતની ધરાને જળસમૃદ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છેઃ વિજયભાઇ રૂપાણીએ દેડીયાપાડા તાલુકાના ચીકદા ખાતે શ્રમદાન કરી ગામ તળાવ ઊંડું કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગાંધીનગરઃ જળ અભિયાન એ ગુજરાતની ધરાને જળસમૃદ્ધિથી સંતૃપ્ત કરવાનું અભિયાન છે એમ જણાવતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તળાવોને ઊંડા ઉતારવાનું અભિયાન ઈશ્વરીય કાર્ય હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. આજે ભૂતકાળ બની ચૂકેલી કલકલ વહેતી ૩૨ નદીઓને પુન:જીવિત કરી ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી મુક્ત કરવા માટેનો એક પ્રયાસ છે એમ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચીકદા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં જોડાયેલા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પાણી એ પ્રભુનો પ્રસાદ છે ત્યારે તેનો પ્રસાદ તરીકે જ ઉપયોગ કરી ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે પાણીના એક એક બુંદને એકત્રિત કરી સાગર બનાવવાનું આહવાન કરતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ નાગરિકે કોઇપણ જાતિ, જ્ઞાતિ કે ધર્મથી પર રહીને આ અભિયાનમાં જોડાઈને જળ અભિયાનને જનઅભિયાનમાં રૂપાંતરિત કર્યું છે, ત્યારે બહોળું લોકસમર્થન જ આ અભિયાનની સફળતા હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.

મેનપાવર, મશીનરી પાવર અને મની પાવરના ત્રિવેણી સંગમથી જળ અભિયાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને સાર્થક કરે છે એમ જણાવી ઠેરઠેર જનભાગીદારીથી તળાવો ઊંડા ઉતારવાના કાર્યમાં લોકોના આશીર્વાદ મળી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારની જામનગરના જોડીયામાં ખારા પાણીને મીઠા કરવાની રૂ. ૮૦૦ કરોડની મહત્વાકાંક્ષી યોજના બાદ હવે ગટરના પાણીને રિ-સાયકલ કરી ખેતી અને ઉદ્યોગોને પાણી પૂરૂ પાડવાની બહુહેતુક યોજના પર કામ ચાલી રહ્યું હોવાનું અને ટૂંક સમયમાં જ આ યોજનાને વાસ્તવિક રૂપ આપી અમલી બનાવાશે એમ તેમણે જણાવ્યું હતું.

આ અભિયાનથી પાણીના દુકાળને ભૂતકાળ બનાવી ભાવિ પેઢીને દુષ્કાળની કપરી પરિસ્થિતિમાંથી મુક્તિ આપી સમૃદ્ધ જળ વારસો આપવાની મુખ્યમંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી.. 

મુખ્યમંત્રીશ્રીએ જળ અભિયાનની ફલશ્રુતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, ૧લી મે એ પ્રારંભ થયેલા જળ અભિયાનમાં શરૂઆતના તબક્કામાં ૧૭૦૦ ટ્રેક્ટરોથી કામ શરૂ થયું હતું, જે આજની સ્થિતિએ ૧૦,૦૦૦ થી વધુ ટ્રેક્ટરો સામેલ થયા છે. ૪,૧૦૦ જે.સી.બી. મશીનો તેમજ મનરેગા હેઠળ ૩ લાખ શ્રમિકો આ અભિયાનમાં રોજગાર મેળવે છે.

નર્મદા જિલ્લામાં જળ સંચયના કુલ ૩૮૬ કામોમાંથી ૩૬૬ જેટલાં કામો શરૂ કરીને તે પૈકી મોટા ભાગના કામો પૂર્ણ કરવા બદલ પ્રભાવિત થઈને શ્રી રૂપાણીએ જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યાં હતા. જળ સંચય માટે તળાવો ઊંડા ઉતારવા એ જ પર્યાપ્ત નથી, પરંતુ રાજ્યનો પ્રત્યેક નાગરિક મહામૂલા જળના  એક એક બુંદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સંકલ્પબદ્ધ થાય તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગામ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મનરેગા હેઠળના જળસંચયના શ્રમયજ્ઞમાં મુખ્યમંત્રીએ શ્રમિકોની સાથે શ્રમદાન કર્યું હતું. શ્રમિકોને છાસ અને સુખડીનું વિતરણ કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે કાર્યક્રમનાં સ્થળે વૃક્ષારોપણ કરી પાણી બચાવવા સાથે પર્યાવરણ બચાવવાનો ઉમદા સંદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના નવનિર્મિત તળાવોનું ડિજિટલ લોકાર્પણ તથા સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૧૮ પરની વિડીયો ફિલ્મનું લોન્ચીંગ કર્યું હતું.

ગુજરાતના સહકાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ઈઝરાયેલ દેશમાં ઓછો વરસાદ થતો હોવા છતાં ડ્રીપ પધ્ધતિથી અનેકગણુ ખેત ઉત્પાદન તેઓ મેળવી રહ્યાં છે, ત્યારે ડ્રીપ પધ્ધતિ અપનાવવાની સાથે બહેનોને પશુપાલન વ્યવસાય દ્વારા આર્થિક રીતે મજબુત બનીને ગુજરાતના પ્રત્યેક નાગરિક, સ્વૈચ્છિક સંસ્થા,ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો વગેરેની જનભાગીદારીથી શરૂ થયેલા જળસંચય અભિયાનમાં સૌ કોઇને જોડાઇને વધુ વેગીલું બનાવી ભાવિ પેઢીને જળ સમૃધ્ધિનો વારસો આપવાની મુખ્યમંત્રીશ્રીની નેમને સાકાર કરવામાં સહયોગી બનવા ખાસ અનુરોધ શ્રી પટેલે કર્યો હતો.

ભરૂચના સંસદસભ્ય શ્રી મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં પાણીદાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા જનભાગીદારીથી ચાલી રહેલા જળસંચય અભિયાને હવે જન અભિયનનું સ્વરૂપ ધારણ કર્યું છે, જે ગુજરાત માટે આશિર્વાદરૂપ બની રહેશે.

જિલ્લા કલેકટર શ્રી આર.એસ. નિનામાએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકાર્યા હતા. અને જિલ્લામાં પ્રગતિ હેઠળના તળાવો ઊંડા ઉતારવાના જળ સંચયના કાર્યોનો ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે સુજલામ સુફલામ જળ અભિયાન નિધિમાં વિવિધ કંપનીઓ અને ધાર્મિક સંસ્થાઓના દાતાઓશ્રી તરફથી રૂ. ૨૭ લાખના માતબર દાનના ચેકો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરાયા હતા. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ એફ.આર.એ.ના મહિલા લાભાર્થીઓને સનદનું પણ વિતરણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં ચીકદા ગામ તળાવની પણી સંગ્રહની અંદાજે ૫૦ હજાર ઘનમીટર જેટલી છે, હવે આ તળાવ ઉંડુ કરવાનાં આ કામથી આશરે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર માટીનું ખોદકામ થશે અને તેને લીધે ૨૦ થી ૨૫ હજાર ઘનમીટર પાણી સંગ્રહની ક્ષમતામાં પણ વધારો થશે.

અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી જીન્સી વિલીયમે આભારદર્શન કર્યું હતું. 

આ પ્રસંગે ગુજરાત અન્ન આયોગના ચેરમેન શ્રી ભૂપેન્દ્રસિંહ લાખાવાલા, જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ દેસાઇ, શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રિય આદિજાતિ આયોગનાં સભ્ય શ્રી હર્ષદભાઇ વસાવા, પૂર્વ રાજ્યમંત્રી શ્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ ધારાસભ્ય શ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પ્રભારી સચિવ શ્રી એસ. જે. હૈદર, શ્રી સતિષભાઇ પટેલ, ચીકદાના સરપંચ શ્રી રેવજીભાઇ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા, ધારીખેડા સુગરના ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(5:38 pm IST)