News of Friday, 20th April 2018
ખેડા:જિલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા ગામે રહેતા એનઆરઆઇ યુવકે ગત રાત્રે પોતાની જાત જલાવી દેતા નાનકડા એવા આતરસુંબા ગામે ચકચાર મચી ગઇ છે. યુવકની આત્મ હત્યા બાદ પોલીસને ૧૦ પાનાની સુસાઇડ નોટ અને એક સીડી મળી છે. જે સુસાઇડ નોટમાં સ્પષ્ટ પણે તેણે લખ્યું છેકે તેની પત્નીના માનસીક ત્રાસથી કંટાળીને તે આત્મ હત્યા કરી રહ્યો છે. આ ઘટના માટે તેની પત્ની અને અન્ય ત્રણ ઇસમોને જવાબદાર ઘણી સખતમાં સખત સજા કરાવવા માટે યુવકે સુસાઇડ નોટમાં માંગ કરી છે.
પતિ અને સાસુ, સસરાના ત્રાસથી આત્મ હત્યા કરી લેતી મહિલાઓના કિસ્સાઓ સમાજમાં અવાર નવાર બનતા હોય છે. પરંતુ ખેડા જિલ્લાના આતરસુંબા ગામે પત્નીના ત્રાસને કારણે એનઆરઆઇ યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શૈલેષકુમાર પટેલ નામના ૩૭ વર્ષીય યુવકે લગ્નના ૨ વર્ષના સમય ગાળામાં પોતાની જાત જલાવી આત્મહત્યા કરી લીધી. આત્મ હત્યા કરતા પહેલા શૈલેષભાઇ ૧૦ પાનાની સુસાઇડ નોટ અને એક સીડી મુકતા ગયા છે, જે સુસાઇડ નોટ પરથી મળતી વિગતો મુજબ.. શૈલેષ આઠ વર્ષ પહેલા સ્ટુડન્ટ વીઝા પર લંડન ગયો હતો. જે બાદ તેને ત્યા જોબ મળી જતા તે ત્યાં જ સ્થાયી થઇ ગયો હતો. જોકે બે વર્ષ પહેલા શૈલેષને ભૂમિ જોષી નામની અમદાવાદની યુવતી સાથે શાદી.કોમ નામની સાઇટ પર પરીચય થયો હતો. જે પરીચય બાદમાં સોશીયલ મીડિયા થકી વાત આગળ વધતા શૈલેષ અને ભૂમિએ લગ્ન કરવાનું નક્કિ કયું હતું. બંને પરીવારોની સંમતિથી લગ્ન મંજુર થતા શૈલેષ લગ્ન કરવા લંડનથી ઇન્ડિયા આવી ગયો હતો. પંરતુ લગ્નના તુરંત બાદ ભૂમિએે તેનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કરી દીધુ હતુ. ભૂમિ અવાર નવાર શૈલેષ પાસે રૂપિયાની માંગણી કરતી અને મોધી મોધી ચીજ વસ્તુઓની ખરીદી કરતી. હદ તો ત્યારે થઇ જ્યારે લગ્નના થોડા જ દિવસો બાદ ભૂમિએ શૈલેષ સાથે ઝઘડો કરી કહ્યુ કે તેને આતરસુંબા જેવા ગામડામાં નથી ગમતુ તેને અમદાવાદ રહેવા જવુ છે. જેથી શૈેલેષે પોતાના પરીવારજનોથી છુટા થઇ અમદાવાદના નરોડામાં ઘર અને કાર પણ લઇ આવ્યા. પરંતુ આ તમામ ઘટનાઓ પાછળ ભૂમિ શું કાવત્રુ રચી રહી હતી તેનાથી શૈલેષ અજાણ હતો.
સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ શૈલેષે ભૂમિને રૂા. ૮૦ હજારની કિંમતનો આઇફોન ગીફ્ટ આપ્યો હતો. પરંતુ તે અવાર નવાર કોઇને કોઇ બહાને તેની સાથે ઝઘડો કરી તેના ઘરે જતી રહેતી હતી. ના છુટકે શૈલેષે તેની પત્નીની આ હરકતો અંગે ભૂમિના ભાઇને વાત કરી તો તેણે શૈલેષને હાલ કોઇ પગલા ના ભરશો કે ભૂમિને કઇ ના કહશો તેમ કહી વાત દબાવી દેવા જણાવ્યું હતું. જે બાદ બીજા જ દિવસે ભૂમિનો ભાઇ તેના મિત્રો નરોડા સ્થિત ઘર પર આવી પહોચ્યા હતા, જ્યા તેઓએ શૈલેષ સાથે મારપીટ કરી હતી. જે બાદ ભૂમિએ ૧૮૧ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી શૈલેષને ખોટા ગુનામાં પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસ જ્યારે શૈલેષને પકડીને લઇગઇ તેના થોડા જ સમય બાદ ભૂમિ, તેનો ભાઇ અને તેના મિત્રોએ નરોડા સ્થિત ઘરમાં વસાવેલો લાખ્ખો રૂપિયાનો સામાન પણ લઇ ગયા હોવાની મૃતક શૈલેષે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી શૈલેષ આ માનસિક ત્રાસ સહન કરી રહ્યો હતો. જેના કારણે તે કંટાળી ગયો હતો, ના છુટકે આજે તા.૧૯ એપ્રિલના રોજ તેનો જન્મ દિવસ હતો ત્યારે તા.૧૮ એપલના રાત્રે ૧૧.૩૦ વાગ્યાના સુમારે તેણે પોતાની જાત પર પેટ્રોલ છાંટી આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી. સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.