Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમદાવાદમાં જે પરિવાર સ્‍વૈચ્‍છિક રીતે 14 દિવસ હોમ ક્‍વોરેન્‍ટાઇન રહેવા માંગતા હોય તેને દુધ, પાણી, શાકભાજી, અનાજ-કરીયાણુ કોર્પોરેશન મફતમાં ઘરે પહોંચાડશેઃ કમિશનર વિજય નહેરાની જાહેરાત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જાહેરાત કરી છે કે જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિ. મફતમાં ઘરે પહોંચાડશે.

મ્યુનિસિપલ કમિશનરે આ સિવાય અનેક મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી અમદાવાદના તમામ પાનના ગલ્લા-લારી-દુકાનો તાત્કાલિક અસરથી બંધ કરાશે. 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે અને કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. આ સિવાય જાહેરમાં થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે, દંડ ભરવામાં તકરાર કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે.

રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે. રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે.

નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 5 કેસ સામે આવ્યા તે પાંચેય વિદેશથી આવ્યા છે. ભારત સરકારે વિદેશી ફ્લાઈટો બંધ કરી છે. જે વિદેશથી આવ્યા છે તેનુ સતત મોનિટરિંગ થઈ રહ્યુ છે.

(5:11 pm IST)