Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ડાકોર, દ્વારકા યાત્રાધામોમાં આજે ફુલ ડોલોત્સવ યોજાશે

ડાકોર, દ્વારકા અને શામળાજીમાં રંગોત્સવ કાર્યક્રમો : વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં પણ ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર સાથે હોળી રસિયાના ગીતો ગવાશે-કેસૂડાં વધાવાશે

અમદાવાદ,તા. ૨૦ : યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે. આજે ફાગણી પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે ૪-૦૦ કલાકે મંગળા આરતીમાં ડાકોરમાં લાખો ભાવિકભકતો ઊમટી પડયા હતા. હવે આવતીકાલે ધૂળેટીના તહેવારને લઇ સવારે ૯-૦૦ કલાકે શ્રી ગોપાલ લાલજી મહારાજ ફૂલડોલમાં બિરાજશે. બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ હોળી ધુળેટીના પર્વ નિમિતે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં પણ ઠાકોરજીને વિશિષ્ટ શૃંગાર સાથે હોળી રસિયાના ગીતો ગવાશે અને આવતીકાલે કેસૂડાં વધાવાશે. ડાકોરના રાજાધિરાજા શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર આજે વહેલી સવારના ૩.૪૫ કલાકે નિજ મંદિર ખૂલ્યું હતું. એ પછી ૪-૦૦ કલાકે મંગળાઆરતી થઈ હતી. ડાકોર ખાતે ખાસ મંગળા આરતીના દર્શનનો લહાવો લેવા આવેલા લાખો શ્રધ્ધાળુઓ સવારે મંગળા આરતી શરૂ થઈ ત્યારે મંદિરના દરવાજા ખુલતાની સાથે ટોળે ટોળાં સ્વરૂપે મંદિરમાં દર્શન કરવા ઊમટી પડ્યાં હતાં. ભક્તોએ કાળિયા ઠાકોરનાં દર્શન કરવા રીતસરની પડાપડી કરી હતી. આજે હોળીના તહેવારને લઇ મંદિરમાં રંગોની છોળો ઉડી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી. હજ્જારો ભક્તો શાંતિથી ભગવાનનાં દર્શન કરી શકે તે માટે મંદિર પ્રશાસન દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી કાળિયા ઠાકોરનાં દર્શન કરવા લાખો શ્રધ્ધાળુ ભક્તો ચાલતા અહીં ડાકોરના યાત્રાધામમાં પહોંચી રહ્યા છે. રાજાધિરાજા શ્રી રણછોડરાયજી મહારાજ ટેરામાં બાલભોગ, શ્રૃંગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે. હવે આવતીકાલે મંદિરમાં ફૂલ ડોલોત્સવની ઊજવણી કરવામાં આવશે. જેની પણ ખાસ તૈયારીઓ મંદિરમાં કરવામાં આવી છે. આ જ પ્રકારે દ્વારકા અને શામળાજી ખાતે પણ આવતીકાલે ધૂળેટીને લઇ ફુલ ડોલોત્સવ, રંગોત્સવ સહિતના અનેક ભકિતસભર અને રંગોના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના દર્શન માટે પણ લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે. બીજીબાજુ, યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે હોળી દહન સહિતના કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. બીજીબાજુ, વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં ગુલાલની છોળો વચ્ચે આવતીકાલે ધુળેટીના દિવસે ચાર ખેલના દર્શન થશે.

 

(6:46 pm IST)