Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ખેડૂતોને શું સમસ્યા છે? જાપાનના પત્રકારોનું પ્રતિનિધિ મંડળ સુરતમાં

સુરત :બૂલેટ ટ્રેનના મુદ્દે જાપાનનું પત્રકારોનું ડેલીગેશન સુરતમાં પહોંચ્યુ છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બૂલેટ ટ્રેનને લઈને વિરોધમાં ઉતર્યા છે. ત્યારે બૂલેટ ટ્રેનને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણી હતી.

મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનને લઇ શરૂઆતથી ખેડુત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે. જમીન સંપાદનને લઇને અગાઉ ખેડૂતો દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યુ હતું. બાદમા જે રીતે

જમીન સંપાદનનો વિવાદ સમગ્ર દેશમા ચાલી રહ્યો હતો, તેને લઇને જાપાનની ઝીંકા એજન્સીએ પણ ખેડૂતોની મુલાકાત લઇ તેમની સમસ્યા જાણી હતી. બાદમાં આ પ્રોજેક્ટને લઇને ખેડૂતો હાઇકોર્ટમા ગયા હતા. ત્યારે આ જ સંદર્ભે આજે જાપાનથી બે પત્રકારો પોતાના ડેલિગેશન સાથે સુરત પહોચ્યા છે.

સુરતના જહાગીરપુરા જિનિંગ મિલ ખાતે ખેડૂત પ્રતિનિધિની સમસ્યા સાંભળી હતી. તેમજ બુલેટ ટ્રેન વિરોધને લઈ મહત્વના કયા મુદ્દાઓ છે તે અંગે જાણકારી મેળવી હતી. સુરત બાદ આ ડેલિગેશને નવસારી ખાતે દ.ગુજરાતના ખેડૂતો સાથે મુલાકાત કરી. ખેડૂતો પાસેથી મળેલી માહિતી અનુસાર એક અહેવાલ તૈયાર કરી સબમિટ કરાશે.

(4:35 pm IST)