Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા કમિટીની રચના : કોની કોની થઈ નિમણૂક : વાંચો યાદી

562 દેશી રજવાડાઓના મ્યુઝિયમમાં શુ હશે.? સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે PM મોદીએ કહ્યુ હતુ કે અહીં 562 રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે.એ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરી એક અને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેની ગૌરવવંતી સ્મૃતિ અને ઈતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે માટે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો

હવે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝિયમ તૈયાર કરવા એક સમિતિની રચના કરી છે.એ સમિતિમાં દેશ ભરના રાજવી પરિવારના સભ્યો સહિત ઉચ્ચ સરકારી અધિકારીઓની નિમણૂક કરાઈ છે.આ મ્યુઝિયમની  કામગીરી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી મારફતે કરવાની છે.
આ કમિટીમાં કોની કોની થઈ નિમણૂક
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 562 દેશી રજવાડાઓના મ્યુઝીયમ બનાવવા માટે સભ્ય તરીકે એસ.એસ.રાઠોડ (પૂર્વ અધિક મુખ્ય સચિવ અને પૂર્વ રાજપરિવાર સદસ્ય, વલાસના), માંધાતા સિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, રાજકોટ), રઘુવીરસિંહ (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, સીરોહી), દિવ્યા કુમારી (પૂર્વ રાજવી પરિવાર સદસ્ય, જયપુર), કરણી સિંઘ જસોલ (નિયામક, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રષ્ટ, જોધપુર), ડો. અંગમા ઝાલા (હાવર્ડ યુનિવર્સીટીમાં ઇતિહાસના પ્રોફેસર અને પૂર્વ રાજવી પરિવારના સદસ્ય, ધ્રાગંધ્રા), ડો.પંકજ.એ.શર્મા (નિયામક, પુરાતત્વ અને સંગ્રહાલય)
દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.અત્યાધુનિક 3-ડી મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.ભારતના અલગ-અલગ રાજ્યોના નાના-મોટા રાજવી પરિવારો- રોયલ ફેમીલીઝનો આ હેતુસર સંપર્ક કરીને તેમના સંબંધિત રાજ્યોની સમૃદ્ધ વિરાસતને પણ આ મ્યૂઝિયમ માં શો કેસ કરવામાં આવે.
●સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.
કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબ ની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો<તે સમયની તસ્વીરો,રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ- સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમ માં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવે.

(9:13 am IST)