Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદ ખાતે વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માંનું મંદિર બનશે

જાસપુર પાસે ૧૦૦૦ કરોડના ખર્ચે મંદિર બનશે : ઐતિહાસિક મંદિર નિર્માણને લઇ ૨૮ અને ૨૯ ફેબ્રુ.એ શિલાન્યાસ, મૂર્તિની ચલ પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમો

અમદાવાદ,તા. ૨૦  :  એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલથી જાસપુર પાસે વિશ્વ ઉમિયા ધામ સંકુલ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૪૩૧ ફુટ ઉંચાઇ ધરાવતું વિશ્વનું સૌથી ઉંચું અને ભવ્ય એવું ઉમિયા માતાજીનું ઐતિહાસિક અને અનેક અજાયબી ધરાવતુ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે આગામી તા.૨૮ અને ૨૯ ફેબ્રુઆરી દરમ્યાન આ ભવ્યાતિભવ્ય મંદિરના શિલાન્યાસ સમારોહ, માં ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણ પ્રતિષ્ઠા અને ૧૧ હજાર બહોને દ્વારા જવારા શોભાયાત્રા સાથે ૧૦૮ કળશનું પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે તો, આ ભવ્ય શિલાન્યાસ સમારોહમાં સમગ્ર દેશભરના સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ૫૧ હજારથી ૫૧ કરોડ સુધીના સમાજશ્રેષ્ઠી દાતાઓના વરદ્હસ્તે જગતજનની માં ઉમિયાના ૪૩૧ ફુટ ઉંચા ભવ્યાતિભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે એમ અત્રે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, ઉપપ્રમુખ ડી.એન.ગોર અને શિલાન્યાસ સમારોહ કમીટીના ચેરમેન સુરેશ પટેલેજણાવ્યું હતું.

   તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આશરે ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર માં ઉમિયાનું આ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ ઉમિયા માતાજીનું મંદિર હશે. જયાં માં ઉમિયાની સાથે મહાદેવજીનું પારાનું શિવલીંગ પણ સ્થાપિત કરવામાં આવશે. બે દિવસના આ ભવ્ય શિલાન્યાસ સમારોહ સહિતના કાર્યક્રમોમાં દેશ-વિદેશથી બે લાખ શ્રધ્ધાળુ ભકતો ઉમટશે. શિલાન્યાસ સમારોહમાં શ્રીશ્રી રવિશંકર, બીએપીએસના મહંતસ્વામી મહારાજ, આચાર્ય અવિચલદાસજી મહારાજ, જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી, જગદગુરુ શંકરાચાર્ય વિજેન્દ્ર સરસ્વતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વંભરભારતી મહારાજ, બ્રહ્મવિહારી સ્વામી, માધવપ્રિયદાસજી સહિત દેશભરના ૨૧થી વધુ દિગ્ગજ સંતો, મંહતો, મહામંડલેશ્વરો અને કથાકારો ખાસ હાજરી અને આશીર્વચન આપશે. વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરમાં ગર્ભગૃહમાં માં ઉમિયાની દસ ફુટથી પણ વધુ ઉંચાઇ ધરાવતી ભવ્ય મૂર્તિ ૫૨ ફુટની ઉંચાઇએ સ્થાપિત કરવામાં આવશે. જેથી એકસાથે દસહજારથી વધુ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઇ શકશે. આ ઉપરાંત ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં મંદિર અને સરકારના સંયુક્ત સંકલનથી વિશ્વનું બીજા નંબરનું ટ્રી મ્યુઝિયમ બનશે. જેમાં લુપ્ત થતા ૩૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે. સમગ્ર સમારોહના આયોજન માટે ૫૦થી વધુ કમીટીઓ કામ કરશે. ૫૦૦૦થી વધુ સ્વયં સેવકો સેવા આપશે. મંદિરમાંથી અમદાવાદનો નજારો જોઇ શકાય તે પ્રકારે ૨૭૦ ફુટ ઉંચી વ્યુ ગેલેરી પણ બનાવાશે.

૨૮મીએ માં ઉમિયાની મૂર્તિની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

૨૯ ફેબ્રુઆરીએ શિલાન્યાસ સમારોહ

*        તા.૨૮મી ફેબ્રુઆરીએ સવારે ૮થી ૧૨ કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

*    જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે

*    બપોરે ૨-૦૦ કલાકે ૧૧ હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં ૧૦૮ કળશનું સ્વાગત અને પૂજન કરાશે

*    સાંજે ૪ કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે

*    સવારે ૮ કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત ૯ શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન

*    સાંજે ૪ કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ

*    શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના ૨૧ કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે

*    શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ખાસ હાજરી આપશે

(9:16 pm IST)