Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જાયે તો જાયે કહા : રાત્રી કર્ફયુના કારણે હોટેલિયરની હાલત વધુ કફોડી

કર્ફયુના કારણે રાત્રે ૯ વાગ્યા બાદ લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે : લોકડાઉનના સમયથી ખાણી-પીણીના નાના-મોટા ધંધાર્થીઓની સ્થિતિ દયનીય : ચૂંટણી વખતે કોરોના ગાયક થઇ જશે અને કર્ફયુ પણ હટાવી લેવાશે?

વડોદરા તા. ૨૦ : લોકડાઉન અને કરફયુના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટના બિઝનેશ સાથે સંકળાયેલા વેપારીઓની હાલત કફોડી બની છે. તેમાંય રોડ પર ઉભા રહી ખાણી-પીણીની ચીજવસ્તુ વેચતાં લારીવાળાઓ માટે તો રાત્રી કરફયુ અભિશાપ સમાન સાબિત થઈ રહ્યો છે.

સામાન્ય રીતે લોકો રાતે ૮ વાગ્યા પછી હોટલ કે રેસ્ટોરાંમાં જમવા જતાં હોય છે. જેમાં વેઈટીંગ પ્રમાણે ગ્રાહકોનો નંબર આવતો હોય છે.

જોકે, હાલ કરફયુના કારણે રાતે ૯ વાગ્યા બાદ મોટાભાગના લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યાં છે. કારણ કે, ૧૦ વાગ્યે કરફયુનો અમલ શરૂ થતો હોઈ સાડા નવ વાગ્યાથી જ હોટલ અને રેસ્ટોરાંમાં કામગીરી સમેટવાની શરૂઆત થઈ જાય છે. તદ્દઉપરાંત રાતે જમતાં સુધીમાં ૧૦ વાગી જાય તો રસ્તામાં પોલીસના પકડવાનો ડર રહે છે. જેની સીધી અસર હોટલ અને રેસ્ટોરાંના બિઝનેશ પર થઈ ઔરહી છે.

હોટલ- રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોરોના વાઈરસનો કહેર ઓછો થઈ રહ્યો હોવાનું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સત્ત્।ાવાર રજૂ કરવામાં આવતાં આંકડામાં દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચૂંટણી વખતે કોરોના પણ ગાયબ થઈ જશે અને કરફયુ પણ હટાવી લેવામાં આવશે. પણ, હાલ મરો સામાન્ય નાગરિકોનો થઈ રહ્યો છે.

કોવિડ -૧૯ના કારણે આમપણ ધંધો ૫૦ ટકા થઈ ગયો છે, ત્યારે રાત્રી કરફયુએ પડતાં પર પાટુ જેવો ઘાટ સજર્યો છે. દિવસ દરમિયાન છુટછાટ અને રાત્રે ૧૦ વાગ્યા પછી માત્ર શહેરમાં જ કરફયુનો અમલ કરાવવા પાછળનું સરકારનું ગણીત સમજાતું નથી. જિલ્લામાં બધી જ છુટછાટ અપાઈ છે, ત્યારે કોરોના શું માત્ર શહેરમાં જ ફેલાય છે? લોકડાઉન બાદ અમને આશા હતી કે, પરિસ્થિતિ ધીરેધીરે થાળે પડશે, પરંતુ કરફયુએ અમારી આશા પર પાણી ફેરવી નાંખ્યું છે. શું રાજકિય રેલીઓ – મેળાઓમાં કોવિડ-૧૯ની ગાઈડ – લાઈન કે પોલીસ કમિશનર અને કલેકટરના જાહેરનામા લાગુ નથી પડતા.? કાયદા માત્ર પ્રજા માટે જ છે.? સરકાર પણ અમાર તરફ ધ્યાન આપે. રાજુભાઈ શેખ, રેસ્ટોરાં સંચાલક

માર્ચ મહિથી જુન મહિના સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેના કારણે અમારો ધંધો બિલકુલ ચોપટ થઈ ગયો હતો. અમારે માણસોને ઘરે રાખી તેમને પગાર ચૂકવવો પડયો હતો. લોકડાઉન ઉઠાવ્યું તો કરફયુનો અમલ શરૂ કરી દેવાયો. શરૂઆતમાં સાંજે સાત વાગ્યે જ રોજગાર ધંધા બંધ કરાવી દેવામાં આવતાં અમારા ધંધાને મોટી અસર થઈ હતી. હવે, રાતે ૯ બાદ રાત્રીના ૧૦ વાગ્યા સુધીની પરમીશન આપવામાં આવી છે, પરંતુ કરફયુના કારણે લોકો ઘરની બહાર નીકળતાં ડરતાં હોવાથી જોઈએ તેવી ઘરાકી નથી. જેથી વહેલી તકે કરફયુ દુર કરવામાં આવે, તેવી માંગ છે. - ભાવીન વાઢેર, રેસ્ટોરાં સંચાલક

કોરોના વાઈરસને કારણે અન્ય બિઝનેશની સાથે ફૂડ ઈન્ડ્રસ્ટ્રીઝને પણ સૌથી મોટો લોસ થયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે માણસો માટે રહેવા – જમવાની વ્યવસ્થા, પગાર, લાઈટ બીલ અને મેઈન્ટેનન્સના ખર્ચા કાઢવા પણ મુશ્કેલરૂપ બન્યાં છે. ફુડ ઈન્ડ્રસ્ટ્રીઝમાં કામ કરતાં કર્મચારીઓને કાઢી મુકવા પણ શકય નથી. કારણ કે, પાછળથી સારા કુક કે માણસો મળતાં નથી. જેથી અમારી આવક ઓછી હોય તો પણ ગમે ત્યાંથી મેનેજ કરી તેમને સાચવવા પડે છે. આવકની સામે જાવક વધુ છે. જેથી સરકારને વિનંતી છે કે, કરફયુનો સમય વધારવામાં આવે, તો હોટલ બિઝનેશને રાહત મળે તેમ છે. - પ્રશાંતભાઈ રાવ, હોટેલિયર

વેજ અને નોનવેજની હોટલ હોવા છતાં ધંધાના કોઈ ઠેકાણા નથી. બીજી તરફ ખર્ચના મીટર તો ચાલુ જ છે. ઘણી વસ્તુઓ અમારે એડવાન્સમાં તૈયાર રાખવી પડતી હોય છે, પરંતુ ૫૦ ટકા પણ ઘરાકી નહીં હોવાથી તેનો બગાડ થાય છે. કારણ કે, કરફયુના ડરના કારણે રાતે લોકો જમવા માટે ઘરની બહાર નીકળતાં ખચકાટ અનુભવે છે. જેથી સરકાર કરફયુનો સમય રાત્રીના ૧૧ વાગ્યા પછી કરે અથવા રાતે ૧૧ વાગ્યા સુધી પાર્સલ ર્સિવસ ચાલુ રાખવા દેવામાં આવે તો પણ ઘણી રાહત થાય તેમ છે. વિકેન્ડમાં પણ જોઈએ તેવો ધંધો નથી. - ઝબીર મુનાવર, હોટેલિયર.

(11:47 am IST)