Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

દહેજમાં ગુમ થયેલી છ વર્ષીય બાળકની લાશ મળતાં ચકચાર

સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યાની આશંકા : વડદલા ગામે રેસીડેન્સીના બાથરૂમમાંથી બાળકની લાશ મળી : શંકાસ્પદ યુવકની આકરી પૂછપરછ હાથ ધરાઇ

અમદાવાદ,તા. ૧૯ : ભરૂચમાં દહેજના વડદલા ગામમાંથી ગુમ છ વર્ષના બાળક ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બાળક ગઇકાલે બપોરે ૧૨-૩૦ વાગ્યાથી ગુમ હતો અને પરિવાર શોધખોળ કરી રહ્યું હતું. દરમ્યાન બાળક છેલ્લે મિથુન કેવટ નામના યુવક સાથે જોવા મળ્યો હોવાથી તેની પૂછપરછ બાદ નજીકની રેસીડેન્સીના પહેલા માળે આવેલા બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. હાલ બાળકના મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જોકે, બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દહેજના વડદલા ગામમાં આવેલી રેસીડેન્સીમાં ક્રિષ્ના વીરેન્દ્ર પ્રજાપતિ(ઉ.વ.૬) પરિવાર સાથે રહેતો હતો. ગઇકાલે બપોરે ૧૨-૩૦ વાગ્યે બાળક ગુમ થઈ ગયો હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી શોધખોળ હાથ ધરી હતી.

            જેમાં મિથુન કેવટ નામના યુવક સાથે છેલ્લે બાળક જોવા મળ્યો હતો. જેથી પોલીસે મિથુનની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ નજીકમાં આવેલી એક રેસીડેન્સીના પ્રથમ માળના બાથરૂમમાંથી બાળકની લાશ મળી આવી હતી. ગુમ બાળકની હત્યા કરવાના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારવામાંઆવ્યો હોવાની આશંકાને લઇને પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. પોલીસે બાળકની હત્યા કેમ, કયા કારણથી અને કેવી રીતે કરવામાં આવી તે સહિતના સવાલોના જવાબો શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:22 pm IST)