Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ટ્રાયબલ તાલુકાઓ દાંતા અને અમીરગઢ માટે ૮.૭૫ કરોડના ૩૨૪ વિકાસકામો મંજુર કરાયા

જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

પાલનપુર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ૯૬ ટકા રકમ દાંતા અને અમીરગઢ ટ્રાયબલ તાલુકાઓ માટે રૂ. ૮.૭૫ કરોડના કૂલ-૩૨૪ વિકાસકામોના આયોજનને વર્ષ-૨૦૧૯-૨૦ માટે મંજુર કરવામાં આવ્યું હતું. દાંતા અને અમીરગઢ આદિજાતિ તાલુકા સિવાયના છૂટાછવાયા વિસ્તારમાં રહેતા આદિજાતિ વિસ્તાર માટે ૪ ટકા ગ્રાન્ટ પ્રમાણે રૂ. ૯૯.૯૮ લાખના ૫૫ કામો મંજુર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું કે, ટ્રાયબલ માટેની સ્પેશ્યલ ગ્રાન્ટમાંથી મંજુર કરવામાં આવેલ કામો સમય મર્યાદમાં ઝડપથી પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપીએ. મંત્રીએ કહ્યું કે, આદિજાતિઓના વિકાસ માટે રાજય સરકારરી ધ્વારા વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને ટ્રાયબલ વિસ્તાર અન્ય વિસ્તારોની હરોળમાં તેવા કામોને અગ્રતા આપીએ. તેમણે કહ્યું કે, જે પણ કામો હાથ ધરવામાં આવે તે અધૂરા ન રહે તેવી રીતે આયોજન કરી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીએ.

બેઠકમાં કૃષિ પાક વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, ભૂમિ અને જળ સંરક્ષણ, પશુપાલન, ડેરી વિકાસ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, સહકાર, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો અંતર્ગત રસ્તા, ગટર, ખરવટના કામો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, લઘુ ઉધોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોના આયોજનને મંજુર કરવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્યો સર્વ મહેશભાઇ પટેલ, નથાભાઇ પટેલ, ગુલાબસિંહ રાજપૂત, શિવાભાઇ ભૂરીયા, કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, એસ.પી. તરૂણ દુગ્ગલ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત અગ્રણીઓ, નાયબ વન સંરક્ષક ર્ડા.અંશુમાન, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, પ્રાયોજના વહીવટદાર મોતીજી ઠાકોર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:47 pm IST)