Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને ભાજપથી કોઇ નારાજગી નથી, કોંગ્રેસ હરખાઇ નહિ

ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના બદઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો કયારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિ દે : પ્રશાંત વાળાની સાફ વાત

રાજકોટ,તા. ૧૯: ભાજપા મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાએ આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી આઠ વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, વિધાનસભા પેટાચૂંટણીના ઇન્ચાર્જઓ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ તેમજ પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીના ચૂંટણીલક્ષી પ્રવાસ ચાલું છે. આ ઉપરાંત પ્રદેશના હોદ્દેદારો, ભાજપાના ઉમેદવારો, વિધાનસભા બેઠકોના ઇન્ચાર્જશ્રીઓ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો, ભાજપા કાર્યકર્તાઓ ઉત્સાહ અને વિજયના આત્મવિશ્વાસ સાથે ચૂંટણી પ્રચારનું કાર્ય કરી રહ્યા છે.

પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, દરેક વિધાનસભા બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપા સાથે છે ત્યારે હાર ભાળી ગયેલી કોંગ્રેસ એક જવાબદાર રાજકીય પાર્ટીને શોભે નહીં તેવી નિમ્ન કક્ષાની હરકતો પર ઉતરી આવી છે. ગઈકાલે સુરત ખાતે ઈંડા ફેંકવાની જે ઘટના બની છે તે શરમજનક છે. ભાજપા સાથેની સીધી લડાઈમાં પહોંચી ન શકતી કોંગ્રેસને ચૂંટણીમાં તેનો પરાજય દેખાઈ રહ્યો છે, તેથી લુખ્ખા તત્વો દ્વારા આ પ્રકારના હીન કક્ષાના દુષ્કૃત્યો કરી કોંગ્રેસ વાતાવરણને બગાડવાના કુપ્રયાસો કરી રહી છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસે ગુજરાતમાં જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝઘડાઓ કરાવી, વેરઝેર ફેલાવી, પૈસાના પાવરથી ગુજરાતની શાંતિ ડહોળવાના હીન પ્રયાસો કર્યા હતા પરંતુ ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવાં બદઇરાદાઓને સારી રીતે સમજે છે, જનતા કોંગ્રેસનો કાળો પંજો કયારેય ગુજરાતની તિજોરી પર પડવા નહિં દે.

 પ્રશાંત વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી તેથી નીતનવા જુઠ્ઠાણાઓ ફેલાવી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે. ગઈકાલે કોંગ્રેસે ભાજપાના ૨૦૦ જેટલા આઈ. ટી. સેલના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા તેવું કહ્યું, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કોંગ્રેસ પોતાના જ કાર્યકર્તાઓને એક પછી એક ખેસ પહેરાવીને ફકત ખોટો દેખાડો કરી રહી છે, ભાજપાના આઇ. ટી. સેલના કોઈપણ જવાબદાર કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા નથી.

પ્રશાંત વાળાએ અંતમાં જણાવ્યું હતું કે, ઉમરેઠના ભાજપાના ધારાસભ્ય  ગોવિંદભાઇ પરમારને ભાજપાથી કોઈ નારાજગી નથી, તેથી કોંગ્રેસને આ બાબતે રાજી થવાની કોઈ જરૂર નથી. આજે ગોવિંદભાઇ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી છે. કેન્દ્રીય સ્તરેથી લઈને વિવિધ રાજયોમાં કોંગ્રેસમાં સંગઠનના અને ચુંટાયેલા જનપ્રતિનિધિઓ કોંગ્રેસના દિશાહીન નેતૃત્વ તેમજ આંતરિક તીવ્ર જુથબંધીના કારણે નારાજગી વ્યકત કરી રહયા છે, અને કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી રહ્યા છે, કોંગ્રેસના ટોચના કહેવાતા ૨૩ જેટલા સિનિયર નેતાઓએ મોવડીમંડળ સામે નારાજગી વ્યકત કરી છે, જનતાની સાથે સાથે હવે કોંગ્રેસના નેતાઓને પણ હવે કોંગ્રેસ પર વિશ્વાસ રહ્યો નથી.

(3:52 pm IST)