Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ સંુદર રાસ-ગરબાથી મંત્રમુગ્ધ કર્યા

મેમનગર અંધ કન્યા પ્રકાશ ગૃહમાં કાર્યક્રમ : પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ માટે ચેરિટી કરવાના આશયથી દેશની એફએમસીજી ડાયરેકટ સેલીંગ કંપની દ્વારા એમવે પહેલ

અમદાવાદ, તા.૧૯ : શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા અંધ કન્યા પ્રકાશ ગૃહમાં આજે ૧૭૮થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોના અનોખા રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ માટે ચેરિટી કરવાના આશયથી દેશની સૌથી વિશાળ એફએમસીજી ડાયરેકટ સેલીંગ કંપની એમવે આગળ આવી હતી. આ પ્રસંગે એમવે ઇન્ડિયાના કોર્પોરેટ કમ્યુનિકેશન અને સીએસઆર-વેસ્ટના રિજનલ મેનેજર શ્રી જિગ્નેશ મહેતા અને એમવે ઇન્ડિયા ગુજરાતના ક્લસ્ટર ઓપરેશન મેનેજર શક્તિસિંહ ભદુરિયાએ અંધ કન્યા પ્રકાશ ગૃહમાં પ્રજ્ઞાચક્ષુ દિકરીઓને વ્હાઇટ કેન્સ આપી હતી અને પ્રજ્ઞાચક્ષુ કન્યાઓને તેમના ગીતો ગાવાની, વાદ્ય વગાડવાની અને સુંદર રાસ-ગરબા સહિતની પ્રતિભાને બિરદાવી પ્રોત્સાહિત કરી હતી. અંધ કન્યા પ્રકાશગૃહમાં દ્રષ્ટિમાં ખામી ધરાવતી કન્યાઓનું અદ્ભુત પરફોર્મન્સ જોઇ સૌકોઇ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આજના પ્રસંગે અંધ કન્યા પ્રકાશ ગૃહના આચાર્ય શ્રી કાંતિભાઇ શાહ, શ્રીમતી સ્મિતાબેન શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા

          દિવ્યાંગ કન્યાઓના રાસ-ગરબાની આજની ઉજવણીનો ઉત્સાહ આગળ વધારતા એમવેના સીધા વેચાણકર્તાઓ અને દ્રષ્ટીની ખામી ધરાવતી અંધ કન્યા પ્રકાશગૃહની કિશોરીઓએ ન્યુટ્રીલાઇટ ઓલ પ્લાન્ટ પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરીને દૂધ પૌઆ રાંધ્યા હતા અને ભેગા મળીને બધાએ તેની મજા માણી હતી.  પ્રજ્ઞાચક્ષુ બાળાઓના રાસ-ગરબાના કાર્યક્રમ અંગે એમવે ઇન્ડિયા, પશ્ચિમના વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિજય ગોલાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, એમવે સને ૧૯૯૯થી દ્રષ્ટિમાં ખામી ધરાવતાં નાગરિકોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે અને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રકારના ટેલેન્ટ શો સહિતના પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરી પ્રજ્ઞાચક્ષુ લોકોની ખોજ કરી તેમને એક અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડવા માંગે છે કે જેથી તેઓ જીવનમાં સ્વનિર્ભર બની શકે અને પોતાની સફળ કારકિર્દી બનાવી શકે. એમવેએ રાજયમાં બ્રેઇલ પાઠયપુસ્તકો સાથે ૮૫ હજારથી વધુ દ્રષ્ટિમાં ખામી ધરાવતાં બાળકોને ટેકો આપ્યો છે.

                        એટલું જ નહી, ૨૦૦૮થી આવા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે કોમ્પ્યુટરની તાલીમ માટેની વ્યવસ્થા કરી છે. દેશભરમાં આવા ૧૫થી વધુ કોમ્પ્યુટર સેન્ટર એમવે દ્વારા સ્થાપવામાં આવ્યા છે. આ સિવાય એમવેએ ઇન્દોર અને મદુરાઇમાં બે ઓડિયો લાયબ્રેરી સ્થાપી છે, કોલકત્તામાં પ્રવાસ અને પર્યટન અભ્યાસક્રમ શરૂ કર્યા છે. મદુરાઇમાં બીપીઓ સ્થાપ્યું છે. બેંગ્લોરમાં બ્રેઇલ લાયબ્રેરી પણ સ્થાપી છે તો, ચંદીગઢ, રાયપુર અને ગૌહાટીમાં સંગીત અકાદમીની સ્થાપના કરી છે. આમ, સામાજિક ક્ષેત્રે એમવેએ વિવિધ ક્ષેત્રોમાં ચેરિટી વર્કને હંમેશો પ્રોત્સાહન આપી પોતાની સામાજિક જવાબદારી અદા કરી છે. દરમ્યાન અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રોજેકટ કો ઓર્ડિનેટર સ્મિતાબહેન શાહ અને પ્રિન્સીપાલ કાંતિભાઇએ જણાવ્યું હતું કે, માત્ર ચાર પ્રજ્ઞાચક્ષુ બાળકીઓ સાથે શરૂ થયેલું આ મેમનગરનું અંધ કન્યા પ્રકાશ ગૃહ આજે ૧૭૮થી વધુ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ સાથે મહેંકી ઉઠયું છે.પ્રજ્ઞાચક્ષુ દિકરીઓ ગીત-સંગીત, નૃત્ય સહિતની કલાઓમાં પારંગત બની પોતાની આંતરક પ્રતિભાઓથી સૌકોઇને પ્રભાવિત કરી રહી છે ત્યારે આજનો રાસ-ગરબાનો શો પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ માટે જીવનમાં સફળતાના પગરણ માંડવામાં બહુ મહત્વપૂર્ણ સાબિત થશે.

(9:37 pm IST)