Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવનારને જામીન ન મળ્યા

સેશન્સ કોર્ટનું આકરૂ વલણ : જામીન રદ : ફરિયાદીના બાળકનો પિતા અરજદાર આરોપી જ હોવાનું ડીએનએ અહેવાલમાં પણ સાબિત થયુ : કોર્ટ દ્વારા તારણો

અમદાવાદ, તા.૧૯ : શહેરના ઓઢવ વિસ્તારમાં એક પરિણિતાને પ્રેમજાળમાં ફસાવી તેણીને ગર્ભવતી બનાવી માતા બનાવી દેવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મેન્દ્રસિંહ શ્રીરામ ગર્ગની જામીનઅરજી આજરોજ એડિશનલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રેહાન રામનરેશજી શ્રીરામ  ગર્ગની જામીન અરજી ફગાવી દેતાં ચુકાદામાં નોંધ્યું હતું કે, આ કેસમાં ખુદ ફરિયાદી યુવતીએ ફરિયાદ આપી છે અને તેમાં આરોપીના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ફરિયાદી યુવતી અરજદાર આરોપી થકી જ ગર્ભવતી થઇ હતી અને તેણીએ બાળકને જન્મ આપ્યો છે. ફરિયાદીના બાળકના પિતા હાલનો અરજદાર આરોપી જ હોવાનું ડીએનએ રિપોર્ટમાં પણ ફલિત થયુ છે ત્યારે આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી. ચકચારભર્યા કેસની વિગતો એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે રેહાન રામનરેશજી શ્રીરામ ગર્ગે ગત તા.૨૩-૧૧-૨૦૧૭ના રોજ ફરિયાદી યુવતીને કેફી પીણું પીવડાવી તેણી સાથે શારીરિક સંબંધ બાંધી અને તે સમયે આરોપીએ તેણીના અશ્લીલ ફોટા પાડી બાદમાં તેણીના સાસરિયાવાળાઓને બતાવી બદનામ કરવાની ધમકી આપી તા.૫-૭-૨૦૧૯ સુધીમાં તેણીની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા,

                   જેના કારણે આરોપીના ગુનાહીત કૃત્યથી ફરિયાદી યુવતી ગર્ભવતી બની હતી અને તેના બાળકને જન્મ આપ્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ઓઢવ પોલીસમથકમાં આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આરોપીની જામીનઅરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ખુદ ભોગ બનનાર યુવતી દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને તેમાં અરજદાર આરોપીનો નામજોગ ઉલ્લેખ છે. ફરિયાદીનું ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૬૪ હેઠળનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે અને સાહેદોના નિવેદન લક્ષ્યમાં લેતા પણ તેનાથી આરોપીના ગુનાહીત કૃત્યને સમર્થન પ્રાપ્ત થાય છે. જે મુજબ, અરજદરા આરોપી થકી જ ફરિયાદી ગર્ભવતી બની છે અને ફરિયાદીએ બાળકને જન્મ આપ્યો છે.ફરિયાદીના બાળકના પિતા હાલનો અરજદાર આરોપી જ હોવાના ડીએનએ રિપોર્ટ પણ તપાસમાં સામે આવ્યા છે. તપાસના અંતે પૂરતા પુરાવા હોઇ તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા અરજદાર આરોપી વિરૂધ્ધ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવાયું છે. આમ, અરજદાર આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનો અને કેસ બને છે વળી, તે ગુજરાત બહાર મધ્યપ્રદેશનો વતની છે ત્યારે જો આરોપીને જામીન પર મુકત કરાય તો, ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઇને ધ્યાનમાં લેતાં તે નાસીભાગી જાય અને કેસના ટ્રાયલ દરમ્યાન કોર્ટ રૂબરૂ હાજર ના રહે તેવી પૂરી શકયતા હોઇ કોર્ટે આરોપીની જામીનઅરજી ફગાવી દેવી જોઇએ. સમગ્ર મામલાને લઈને જોરદાર ચર્ચાઓનો દોર રહ્યો છે.

(9:10 pm IST)