Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કમલેશ તિવારી હત્યાકાંડઃ ત્રણેય આરોપીઓએ ગુનો કબુલ્યો- ગુજરાત ATS

લખનૌ, તા.૧૯: કમલેશ તિવારી હત્યાકાંડ બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જો કે પોલીસે ૨૪ કલાકમાં કેસનો ખુલાસો કર્યો છે. યુપીના ડીજીપી ઓમ પ્રકાશ સિંહ એ આજે લખનઉમાં આ કેસ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરસન્સ ગોમતીનગર વિસ્તારના સિગ્નેચર બિલ્ડિંગ ખાતેના પોલીસ હેડકવાર્ટરમાં કરાઈ. તેમણે કહ્યું કે કમલેશ તિવારી દ્વારા વર્ષ ૨૦૧૫માં  અપાયેલા ભડકાઉ ભાષણના કારણે તેમની હત્યા થઈ. આ બાજુ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ (ATS)ના ડીઆઈજી હિમાંશુ શુકલાએ પણ જણાવ્યું છે કે પકડાયેલા ત્રણેય વ્યકિતઓએ ગુનો કબુલી લીધો છે. ખાસ પ્રકારનો પોષાક ધારણ કરીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

યુપી પોલીસના જણાવ્યાં મુજબ આ હત્યાનું કાવતરું સુરતમાં દ્યડાયું. હત્યામાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના કાવતરાનું મુખ્ય કારણ કમલેશ તિવારીએ ૨૦૧૫માં આપેલું ભડકાઉ ભાષણ હતું. ડીજીપીએ કહ્યું કે સુરતમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ ચાલુ છે. કાવતરું રચવાના આરોપમાં મુફિત નઈમ કાઝમી અને મૌલાના અનવારુલ હકને પણ અટકાયતમાં લેવાયા છે.

યુપીના ડીજીપીએ જણાવ્યું હતું કે એસએસપી લખનઉ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજની ખુબ ઝીણવટભરી તપાસ કરી. ગુજરાત પોલીસ અને યુપી પોલીસનો પરસ્પર તાલમેળ ખુબ મજબુત રહ્યો. સુરતથી જે ત્રણ લોકોને દબોચાયા તેમની સઘન પૂછપરછ ચાલુ છે. ત્રણેય શંકાસ્પદોનીમાંથી એક મૌલાના મોહસિન શેખ સલીમ (૨૪) સાડીઓની દુકાનમાં કામ કરે છે. જયારે બીજો ફૈઝલ (૩૦) જિલાની એપાર્ટમેન્ટ સુરતનો રહીશ  છે. ત્રીજી જે વ્યકિતને પકડી છે તે રશીદ અહેમદ ખુર્શીદ અહેમદ પઠાણ (૨૩) છે. તે દુબઈ રિટર્ન છે અને સુરતમાં દરજીનું કામ કરે છે અને કોમ્પ્યુટરનું પણ તેને સારું નોલેજ છે. તે પોતે પણ સુરતનો જ રહીશ છે. આ ત્રણેય આરોપીઓએ હવે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. જો કે અન્ય સીસીટીવી ફૂટેજમાં જે ભગવા કપડાં પહેરીને હત્યાને અંજામ આપીને બહાર નીકળતા જોવા મળ્યાં છે તેઓ હજુ પણ પકડાયા નથી. આ ત્રણેય ઉપરાંત વધુ બે વ્યકિતઓની અટકાયત કરાઈ હતી પરંતુ તેમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યાં.

(3:25 pm IST)