Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સુરતમાં પટેલ દંપતિએ જીવ આપ્યો

ભાઈ-ભાભીએ ફોન નહિં ઉપાડતા રૂબરૂ મળવા ગયા તો લટકતા મૃતદેહ જોયા : ૨૨ વર્ષના એકના એક પુત્રના કેન્સરમાં મૃત્યુ પછી બંને સતત વ્યથિત રેતા'તા

રાજકોટ : સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષના ભરતભાઈ પટેલ અને તેમના પત્નિ પલ્લવીબેન પટેલ (ઉ.૪૫) એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે આઘાતની લાગણી પ્રસરી છે. તેમના મૃતદેહ પાસેથી મળી આવેલ સુસાઈડ નોટમાં હૃદય કંપાવનારી વિગત લખી છે.

પોલીસે જણાવેલ કે સ્થળ પરથી મળી આવેલ સુસાઈડ નોટમાં લખ્યુ છે કે આ દંપતિના ૨૨ વર્ષના પુત્ર 'પ્રેમ'નું કેન્સરની બિમારીએ ૧૮ જુલાઈ ૨૦૧૯ના ભોગ લીધા બાદ બંને ખૂબ જ અપસેટ રહેતા હતા. જીવન દોહ્યલુ બની ગયેલ.

ભરતભાઈ પટેલના ભાઈ દિનેશભાઈ પટેલે કહ્યું હતું કે તેમના ભાઈએ પરિવારના વ્હોટ્સએપ ગ્રુપમાં પુત્ર પ્રેમનો ફોટો મૂકી લખેલ કે તેઓ તેમના પુત્રને ખૂબ જ 'મિસ' કરે છે.

આ મેસેજ જોઈને પડોશમાં જ રહેતા ભાઈ દિનેશભાઈએ સતત તેમના ભાઈ - ભાભીનો ફોન ઉપર સતત સંપર્ક કરવા પ્રયાસ કરેલ. પરંતુ ફોન કોઈએ ઉપાડેલ નહિં. ત્યારબાદ તેમના ઘરે તપાસ કરવા ગયા તો બારણુ અંદરથી બંધ હતું. દિનેશે સ્પેરની ચાવીથી દરવાજો ખોલ્યો તો ભાઈ - ભાભી લટકતી હાલતમાં જોવા મળતા તેમના હોંશ ઉડી ગયેલ. દિનેશભાઈએ તાબડતોબ પરીવારજનો - પડોશીઓને બોલાવી કંટ્રોલને જાણ કરતા ખટોદરા પોલીસ દોડી આવેલ.

ભરતભાઈને સુરતના ભટાર વિસ્તારમાં નાની જવેલરીની દુકાન હતી. આ બનાવથી ભારે અરેરાટી ફેલાયેલ છે.

(11:48 am IST)