Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

મહેસાણા પહોંચતા જ નીતિનભાઈએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા : કહ્યું--મારુ પદ ગયુ તેમાં કેટલાકને ખુશી થઈ હશે

મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે મારે કહેવું છે કે, હું એક નથી ગયો આખુ મંત્રીમંડળ ગયું છે.

અમદાવાદ :  ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રાજીનામું આપ્યા બાદ નીતિનભાઈ  પટેલ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિનભાઈ  પટેલે પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, મારુ પદ ગયુ તેમાં કેટલાકને ખુશી થઈ હશે

મહેસાણામાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિનભાઈ  પટેલે કહ્યું હતું કે, પોઈન્ટ એક ટકા લોકો એવા હોય છે કે જે જેઓ નકામા હોય છે. પરંતુ, મારે તેની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે,ઘણા લોકો ખુશ થતા હશે કે, હાશ નીતિનભાઈ ગયા, વિજયભાઈ  રૂપાણી ગયા. પરંતુ, મારે કહેવું છે કે, હું એક નથી ગયો આખુ મંત્રીમંડળ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે  મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, તે ગુજરાત છોડીને ક્યાંય જવાના નથી. 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાથી જ ચૂંટણી લડવાની પણ વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, હું મહેસાણામાં શક્તિ પ્રદશર્ન કરવા નથી આવ્યો. મહત્વનું છે કે, મંત્રી મંડળમાંથી  રાજીનામું આપ્યા બાદ તેઓ ખુલ્લીને તો કંઈ નથી બોલી રહ્યા. પણ સમય મળ્યે આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે

(7:30 pm IST)