Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આઇસક્રીમ ઉદ્યોગનું કદ ૧૯,૫૦૦ કરોડથી વધુ

આઇસ્ક્રીમ એસોસિએશન એક્સ્પો

અમદાવાદ, તા.૧૯  : વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧ સુધી ૧૭ ટકા સુધીની વૃદ્ધિ કરવા સજ્જ છે. વર્ષ ૨૦૧૮ સુધી કુલ સંગઠિત અને અસંગઠિત ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ અંદાજે રૂ. ૧૯,૫૦૦ કરોડને છે. આઇઆઇસીએમએનાં જણાવ્યા મુજબ, પ્રીમિયમ અને સુપર-પ્રીમિયમ કેટેગરીનો હિસ્સો વધવાની શક્યતા છે, જે માટે ગ્રાહકોમાં સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત આઇસ-ક્રીમ માટેની જાગૃતિમાં વધારો જવાબદાર છે. ઇન્ડિયન આઇસ-ક્રીમ મેન્યુફ્રેકચરર્સ એસોસીએશન (આઇઆઇસીએમએ)એ સરકારને આઇસ ક્રીમ પર હાલ ૧૮ ટકા જીએસટી લાદવાને બદલે અન્ય ડેરી અને ફૂડ પ્રોડક્ટ્સને સમકક્ષ ૫ાંટ ટકા જીએસટી સ્લેબમાં સામેલ કરવા ગુજરાત સરકારને બહુ મહત્વનો અનુરોધ કર્યો હતો. રાજયના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે તા.૧૯થી તા.૨૧ સપ્ટેમ્બર સુધી એમ ત્રિદિવસીય આઇસ-ક્રીમ એક્ષ્પો-૨૦૧૯નો આજથી પ્રારંભ થયો હતો. જેમાં દેશભરમાંથી ભાગ લેવા આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ અને અગ્રણીઓએ ઉપરોકત લાગણી વ્યકત કરી હતી.

               આ પ્રસંગે રાજયના ફુડ સેફ્ટી કમિશનર ડો.એચ.જી.કોશીયા ખાસ હાજર રહ્યા હતા. ઇન્ડિયન આઇસ-ક્રીમ મેન્યુફ્રેકચરર્સ એસોસીએશન (આઇઆઇસીએમએ) તરફથી જણાવાયું હતું કે, ડેરી ઉદ્યોગ ઘણું સરપ્લસ ધરાવે છે, જીએસટીનાં દરમાં ઘટાડો થવાથી ખેડૂતને જ લાભ થશે. આ ઉદ્યોગ ખેડૂતોનાં લાભ માટે વિચારણાને લાયક છે, જેઓ ડેરી ઉત્પાદનોનું વેચાણ કરી શકતાં નથી. આઇસ-ક્રીમ જગતના પ્રશ્નો, વિકાસ અને વિસ્તરણ સહિતના અનેકવિધ વિષયોની જાણકારી અને માર્ગદર્શનના હેતુસર ગાંધીનગરમાં સ્થિત મહાત્મા મંદિર ખાતે આજથી ત્રણ દિવસની ઇવેન્ટ આઇસ-ક્રીમ એક્ષ્પો ૨૦૧૯નું  આયોજન આઇઆઇસીએમએ દ્વારા કરાયુ છે. 

              જેમાં એકમંચ પર તમામ આઇસ ક્રીમ ઉત્પાદકો અને આનુષંગિક ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે, ઉપરાંત, એક્ષ્પોમાં ૨૦૦ પ્રદર્શકો સામેલ થશે. પોતાનાં નવમા વર્ષમાં પ્રવેશ કરનાર ભારતનાં સૌથી મોટી આઇસ ક્રીમ શોએ દેશ અને દુનિયાનાં વિવિધ ભાગોમાંથી સેંકડો આઇસ ક્રીમ ઉત્પાદકો હંમેશા પ્રદાન કર્યા છે, જેથી આ પ્લેટફોર્મ પર એમનાં અભિપ્રાયોનું આદાનપ્રદાન થઈ શકે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં આઇસ ક્રીમ ઉદ્યોગમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે. ભારતમાં આઇસ-ક્રીમનો માથાદીઠ ઉપભોગ ૫૦૦ એમએલ જેટલો ઓછો હોવા છતાં ઉપભોગમાં ઉપર ઉલ્લેખિત પરિવર્તનને કારણે અમે આગામી દાયકામાં ૧૬થી ૧૮ ટકાનાં વૃદ્ધિદરનો અંદાજ ધરાવીએ છીએ. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આઇસ-ક્રીમ ઉદ્યોગે ટેકનોલોજીમાં અભૂતપૂર્વ રોકાણ જોયું છે.

(9:52 pm IST)