Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને આખરે હાઈકોર્ટે લીલીઝંડી આપી

જમીનનું ચારગણું વળતર આપવાની ખેડૂતોની માંગ ફગાવાઇ : હાલ માર્કેટમાં ચાલી રહેલા ભાવ મુજબ વળતર આપવા માટે ખેડૂતોની ઉગ્ર માંગ : નારાજ ખેડૂતો હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકારવા માટે સુસજ્જ

અમદાવાદ, તા.૧૯ : મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે થયેલા જમીન સંપાદનને ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે લીલીઝંડી આપી દીધી છે. હાઈકોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ચાર ગણું વળતર આપવાની માંગણી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરી ખેડૂતો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓ ફગાવી દઇ સરકારના જમીન સંપાદનને યોગ્ય ગણાવ્યું હતું. જો કે, ખેડૂતોની જમીનનું ચાર ગણું વળતર ચૂકવવાની ખેડૂતોની દાદ હાઇકોર્ટે ફગાવી હતી અને સમગ્ર વળતરનો મુદ્દો હાઇકોર્ટે ખુલ્લો રાખ્યો હતો. હાઇકોર્ટે વળતર મુદ્દે સરકારમાં રજૂઆત કરવા અને અન્ય કાનૂની વિકલ્પની સ્વતંત્રતા ખેડૂતોને આપી હતી. હાઈકોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં પણ કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી હતી. બીજીબાજુ, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ ખેડૂતો દ્વારા આ ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવશે.   

          સુરત સહિતના વિવિધ પંથકોના અસરગ્રસ્ત અરજદાર ખેડૂતો તરફથી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે,  તેમની જમીનો એ માત્ર જમીન નહી પરંતુ તેમની જીવાદોરી છે અને બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે તેમની જમીન સંપાદન કરાઇ રહી છે પરંતુ તેમાં વળતરના મુદ્દે સરકાર અન્યાયી વલણ અખત્યાર કરી રહી છે. વળતરની રકમ ૨૦૧૧ નક્કી કરેલા જંત્રી મુજબ નહીં પણ હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમજ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં.આમ હાઈકોર્ટના આ ચુકાદાને કારણે ખેડૂતોને બજાર કિંમત કરતા ઓછી રકમનું વળતર ચૂકવાય તેવી સ્થિતિ બની છે અને તેથી જ ખેડૂતોમાં થોડા નિરાશાની લાગણી પણ ફેલાઇ છે.    એનએચઆરસીએલ(નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર મુજબ, ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઈ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું અંદાજીત ભાડું રૂ.૩૦૦૦ જેટલું હોઇ શકે છે. સિવિલ વર્ક માટે પણ આગામી મહિનામાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. ચાર પાંચ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

                 આ સંજોગોમાં હાઇકોર્ટે ખેડૂતોને યોગ્ય રાહત આપી ન્યાય આપવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, એનએચઆરસીએલ (નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.)ના ડાયરેકટર મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ(સીએસટી)થી અમદાવાદના સાબરમતી જંકશનના ૫૦૯ કિ.મી. સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ રૂ.૧ લાખ કરોડથી વધુ થશે. જેમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. ૧૭૦૦૦ કરોડ ખર્ચવામાં આવ્યા છે. બુલેટ ટ્રેનના રૂટમાં ગુજરાતમાં ૧૫૮ ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે, જેમાં ૧૫ થી વધુ ગામની જમીનમાં જ જંત્રીના ભાવને લઈ વિવાદ સર્જાયો હતો. જેથી આ ગામના ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી મારફતે જમીન સંપાદનની પ્રક્રિયાને પડકારી હતી. જો કે, હાઇકોર્ટે ખેડૂતોને કંઇ ખાસ રાહત આપી ન હતી અને તેમની ચાર ગણું વળતર માંગતી પિટિશન ફગાવી દીધી હતી. બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનને લઇને હાઈકોર્ટના ચુકાદા પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ હતી. હાઈકોર્ટ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જમીન માલિકો દ્વારા દાખલ કરવામાં આવેલી ૫૯ જુદીજુદી અરજીઓ ઉપર હાઈકોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદાને લઇને ખેડૂતોને ફટકો પડ્યો છે.

              સુનાવણી પૂર્ણ થયા બાદ ખેડૂતો અને રાજ્ય સરકારોએ પોતપોતાની રજૂઆતો કોર્ટમાં ચાર્ટરુપે રજૂ કરી હતી. ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે રકમની ઓફર કરવામાં આવી તેના કરતા અનેકગણી રકમની માંગ કરી રહ્યા હતા. હાઈકોર્ટ સમક્ષ દાવો કરવામાં આવ્યો હતો કે, વર્તમાન માર્કેટ મુજબ વળતર મળવું જોઇએ. ૨૦૧૧માં નક્કી કરવામાં આવેલા જંત્રીના રેટ મુજબ વળતરની રકમ મળવી જોઇએ નહીં

ખેડૂતોની માંગ શું હતી

અમદાવાદ, તા. ૧૯ : બુલેટ ટ્રેનના સંદર્ભમાં જમીન અધિગ્રહણ ઉપર હાઈકોર્ટે આજે ચુકાદો આપી દીધો હતો. આની સાથે જ ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોની માંગ શું રહી છે તે નીચે મુજબ છે.

*       રાજ્ય સરકાર દ્વારા ઓફર કરવામાં આવેલી રકમ કરતા વધુ વળતરની માંગણી

*       જમીનની વર્તમાન માર્કેટ કિંમતના આધાર પર વળતર નક્કી કરવાની માંગ

*       જમીન સંપાદન માટે વળતર કેન્દ્ર સરકારના જમીન અધિગ્રહણ કાયદાની જોગવાઈ મુજબ નક્કી કરવામાં આવે તે જરૂરી છે

*       ગુજરાત સરકારના સુધારવામાં આવેલા કાયદાની જોગવાઈ હેઠળ વળતર ન ચુકવવાની  રજૂઆત

(8:54 pm IST)