Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૩૩ લાખથી વધુ નાના ઉદ્યોગોને સૌર ઉર્જા માટે પ્રોત્સાહન

માઇક્રો,સ્મોલ અને મધ્યમ ઉદ્યોગો માટે પર્યવરણલક્ષી નવી નીતિ જાહેર કરવામાં ગુજરાત પ્રથમઃ ગ્રીન-કલીન ઉર્જાને મહત્વ : એમ.એસ.એમ.ઇ.એકમો માટે મંજુર લોડના ૫૦ ટકા ક્ષમતાની મર્યાદા દૂરઃ વીજ વપરાશના યુનિટ દરમાં ફાયદોઃ અન્ય પાસેથી સૂર્ય ઉર્જા ખરીદવાની છુટ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ગાંધીનગરમાં નાના ઉદ્યોગો માટે નવી સોલારનીતિ જાહેર કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને ઉર્જા વિભાગના અગ્રસચિવ પંકજ જોષી ઉપસ્થિત છે.

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા.૧૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમો પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો ઉદ્યોગ-પર્યાવરણ મૈત્રીપૂર્વ મહત્વલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી શ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરી હતી.ગુજરાત દેશમાં સતત સુર્યપ્રકાશ મેળવતું રાજ્ય છે ત્યારે સૌરઊર્જાના વિનિયોગ માટે રાજ્યમાં નાના, લઘુ અને મધ્યમ ઊદ્યોગોને પણ પ્રોત્સાહન મળે તે હેતુસર આ ક્રાંતિકારી અભિગમ અપનાવવામાં આવેલો છે.

રાજ્ય સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ૨૦૧૫માં સોલાર પોલિસી જાહેર કરેલી છે તેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે.

ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ અંગે જણાવ્યુું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના ૫૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.૮ જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે ૩ રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે.

એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે ૩.૮૦ રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે ૨.૭૫ જેટલો ફાયદો થશે.

આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી-સુર્યઊર્જા ખરીદ કરી શકશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયન ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌરઊર્જા ઉત્પાદન કરીને કલીન-ગ્રીન એનર્જી મેળવી શકશે.

જો MSME એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ.૧.૭૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.

સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે આ અભિનવ પહેલથી ગુજરાતમાં સૌરઊર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની નવી દિશા ખૂલી છે.અત્રે એ પણ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME  એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલીંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે.

તાજેતરમાં ગુજરાત સરકારે ''સુર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના'' જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યુ છે.

ગુજરાત સોલાર રૂફટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરવા સજ્જ છે ત્યારે હવે ૩૩ લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-કલીન સૌરઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

(3:29 pm IST)