Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નશાબંધીના ચુસ્ત અમલ માટે સરકાર પૂર્ણ પ્રતિબદ્ધ : જાડેજા

પરમિટ ધરાવતા ધારકો માટે નવા નિયમો જાહેર : વિધાનસભા ગૃહમાં નિયમ ૪૪ હેઠળ નવા નિયમો જાહેર કરાયા : ૨૬ એરિયા મેડિકલ બોર્ડની જોગવાઈ રદ કરાઈ

અમદાવાદ,તા.૧૭ : વિધાનસભા ખાતે નિયમ-૪૪ હેઠળ હેલ્થ પરમિટ ધરાવતા પરમિટ ધારકો માટે પરમિટ અંગેના નવા નિયમો જાહેર કરતા ગૃહ રાજ્યમંત્રી  પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નશાબંધીના ચુસ્ત અમલ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને કડક હાથે પગલા લીધા છે. ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ જણાવ્યું છે કે, ગત વર્ષે વિધાનસભા સત્રમાં નશાબંધી ધારામાં સુધારો કરી કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે. જેના ઘણા સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હેલ્થ આધારીત પરમિટ મેળવતા પરમિટ ધારકો માટે પણ નવા નિયમો બનાવાયા છે. જેના પરિણામે પરમિટ ધારકોની સંખ્યામાં પણ નિયંત્રણ લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ નવા નિયમો મુજબ હેલ્થ પરમિટ મેળવવા માટે અત્યાર સુધી અરજદારે અરજી સાથે ખાનગી તબીબીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતુ હતું તે જોગવાઇ રદ કરી છે. હવે ખાનગી તબીબનું પ્રમાણપત્ર ચાલશે નહી. હાલ એરીયા મેડીકલ બોર્ડમાં સુપરિન્ટેન્ડન્ટ કક્ષાના એક અધિકારીના અભિપ્રાયના આધારે પરમિટ અપાતી હતી તેના બદલે નવા એરીયા મેડીકલ બોર્ડના આધારે નવી પરમિટ મળશે કે રીન્યુ કરાશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે હેલ્થ પરમિટ મેળવવા માટે હાલ રાજ્યમાં ર૬ એરીયા મેડીકલ બોર્ડની જોગવાઇ છે તેમા પારદર્શીતા લાવવા માટે આ જોગવાઇ રદ કરીને અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત, ગાંધીનગર અને વડોદરા ખાતે છ નવા એરીયા મેડીકલ બોર્ડ કાર્યરત કરાશે. ત્યા જે તે જિલ્લાના લોકોએ ઝોનવાઇઝ પ્રોસેસ કરવાની રહેશે. આ બોર્ડમાં સભ્ય તરીકે રીજયોનલ ડેપ્યુટી ડાયરેકટર, મેડીકલ સુપ્રીટેન્ડન્ટ અને પૂર્ણ કાલીન એચઓડી મેડીસીન મેડીકલ કોલેજનો સમાવેશ કરાયો છે. જે ત્રણેયનો અભિપ્રાય મેળવવાનો અનિવાર્ય રહેશે. હેલ્થ પરમીટ માટેની પ્રોસેસ ફીની નવી જોગવાઇ ર,૦૦૦ દાખલ કરાઇ છે. તેમજ, આરોગ્ય ચકાસણી ફી ૨,૦૦૦ કરાઇ છે. આ ઉપરાંત રાજ્ય મેડીકલ બોર્ડની પણ પુનઃ રચના કરાઇ છે. જેમાં અધિક નિયામક તબીબી સેવાઓ, ગાંધીનગર મેડીકલ કોલેજના ડીન, બીજે મેડીકલ કોલેજ, અમદાવાદના મેડીસીનના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તથા નશાબંધી અને આબકારી કચેરીના નાયબ નિયામકનો સમાવેશ કરાયો છે. ઝોનમાંથી પરમિટ ધારકોને કોઇ પ્રશ્ન હોય તો તેને અપીલ માટે રાજ્ય કક્ષાએ આ બોર્ડમાં રજૂ કરવુ પડશે આ માટેની ફી પ,૦૦૦ નિયત કરાઇ છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

(7:26 pm IST)