Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઉમરેઠના આશીપુરામાં ખ્રિસ્તી ફળિયામાં નજીવી બાબતે પથ્થરમારો થતા શંકાસ્પદ લોકોની ધરપકડ

ઉમરેઠ: તાલુકાના આશીપુરા ગામના ખ્રિસ્તી ફળિયામાં ગઈકાલે રાત્રીના સુમારે ફરીથી એકાએક પથ્થરમારો ચાલુ થઈ જવા પામતાં દહેશતભર્યું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતુ. જો કે યુવાનોએ તપાસ કરતાં ખ્રિસ્તી ફળિયાની પાછળના ભાગેથી પથ્થરમારો થતો હોય આ અંગે એક શકદાર વિરૂધ્ધ લેખિતમાં ફરિયાદ આપતાં પોલીસે તેની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર છેલ્લા એકાદ મહિનાથી દરરોજ રાત્રીના સુમારે ખ્રિસ્તી ફળિયામાં મેન્ટલ પથ્થરોથી હુમલો થતો હતો જેને લઈને કેટલાકને નાની મોટી ઈજાઓ થવાની સાથે સાથે વાહનો તેમજ ઘરવખરીને પણ નુકસાન થવા પામતું હતુ. જે અંગે ગઈકાલે જ ખ્રિસ્તી ફળિયાના રહીશોએ ઉમરેઠ પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ રાત્રીના સવા નવેક વાગ્યાના સુમારે ફરી એકવાર પથ્થરમારો થતાં જ ઉમરેઠ પોલીસને જાણ કરી હતી જેથી પીએસઆઈ આર. એન. ખાંટ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો અને તપાસ કરતાં ખ્રિસ્તી ફળિયાની પાછળના ભાગે જીગ્નેશભાઈ રમણભાઈ પટેલના ઘરના વાડા તરફથી પથ્થરમારો થતો હોવાનું માલુમ પડ્યું હતુ. વાડામાં તપાસ કરતાં ત્યાંથી પથ્થરો પણ મળી આવ્યા હતા. અવાજ આવતા જીગ્નેશભાઈ પોતાના ઘરનું બારણું બંધ કરીને ઘરમા જતો રહ્યો હતો. 

(5:48 pm IST)