Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કેટલાય ઉદ્યોગપતિઓ બે નંબરી આવકમાંથી બચવા શૈક્ષણિક સંસ્થાઓ-હોસ્પિટલો ઉભી કરે છે:સાંસદ મનસુખભાઈ વસાવા

શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખી આવા અનેક આક્ષેપો લગાવ્યા

રાજપીપળા : ઉદ્યોગપતિઓ બે નંબરી આવકમાંથી બચવા શૈક્ષણિક સંસ્થાઓ-હોસ્પિટલો ઉભી કરે છે એવો આક્ષેપ ભાજપના સિનિયર સાંસદ મનસુખભાઈ  વસાવાએ લગાવ્યો છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાને સણસણતો પત્ર લખી આવા અનેક આક્ષેપો લગાવ્યા છે.

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લખેલા પત્રમાં મનસુખભાઈ  વસાવાએ જણાવ્યું કે, થોડા દિવસ પેહલા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કરાયેલું માટી કૌભાંડ બહાર આવ્યું અને એનાથી પણ શરમજનક ઘટના તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ 7500 રૂપિયામા બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ખરીદ્યો એ કહી શકાય.

મનસુખભાઈ  વસાવાએ જણાવ્યું કે, કેટલાક ઉધોગપતિઓ અને ધનાઢય લોકો એમની બે નંબરની આવક માંથી બચવા અને CRS ફંડ સરકારને આપવાના બદલે મૂળ બિઝનેસની સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલો ઉભી કર્યા છે. કેટલાક સરકારી એકમોમાં શિક્ષકોને કોન્ટ્રાકટર તથા કારકુન બનાવી દેવાયા છે જેથી ગુણવત્તા વાળુ શિક્ષણ મળતું નથી. એ જ કારણે ગુજરાતમાં IAS, IPS, કંપનીના MD, જનરલ મેનેજરો, રાષ્ટ્રીયકૃત બેંકોના મેનેજરો, ONGC, રેલ્વે, ટેલિકોમ જેવા અન્ય કેન્દ્ર સરકારના સાહસોમાં માંડ 01 થી 05 % ગુજરાતી જોવા મળે છે.

વર્ષોથી શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્ય ધ્યાન અપાતું નથી, ચોક્કસ વિઝન સાથે શૈક્ષણિક સંસ્થાઓ કામ કરતી નથી.શિક્ષણ વિભાગમા જે નાની મોટી ક્ષતિઓ છે એ દૂર કરવા તમે પ્રયત્ન કરશો તો જ ગુજરાતના યુવાનો ઉચ્ચ પદ હાંસિલ કરી શકશે.

(7:40 pm IST)