Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

એન્જિનિયર, કોન્ટ્રાકટર, શિક્ષક રાજકારણી અને લેખક એમ નરોતમકાકામાં બહુમુખી પ્રતિભાના દર્શન : વિજયભાઇ રૂપાણી

પૂસ્તક 'અંતરના ઝરૂખેથી' નું વર્ચ્યુઅલ સમારોહથી વિમોચન : મારા જીવનનો સાર વ્યકત કરવાનો મે પ્રયાસ કર્યો : નરોતમભાઇ : હેમેનભાઇ ભટ્ટ સંપાદિત પુસ્તકને મંચસ્થ મહેમાનોએ વધાવ્યુ

રાજકોટ તા. ૧૯ : ગત રવિવારે દાયકાઓ સુધી જાહેરજીવનમાં પ્રભાવી પ્રદાન કરનાર 'નરોતમ કાકા' ના હુલામણા નામથી જાણીતા રાજયના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયુ હતું.

નરોત્તમભાઈના ૮૬ મા જન્મદિને વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત મુખ્ય વિમોચન સમારોહ સહિત રાજયના આઠ વિવિધ સ્થાનો પર વિકેન્દ્રિત પુસ્તક વિમોચન સમારોહ યોજી તમામ કાર્યક્રમોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા જોડવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વ્યકિત જીવન જીવવાનો આનંદ માણતો હોય છે. અમુક નિવૃત્ત વડીલો રોદણાં રડતાં હોય છે અને જીવનની અનેકવિધ ફરિયાદોથી બળાપો વ્યકત કરતાં હોય છે, ત્યારે ૧૮ વર્ષના યુવાનને પણ શરમાવે તેવી ઊર્જા અને સ્ફૂર્તિ ધરાવતાં નરોતમકાકાએ જીવનના આઠમાં દાયકામાં પુસ્તક લખીને સમાજને પ્રેરણાદાયી ભાથું આપવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. તેઓેએ નરોત્તમભાઈને 'ઉત્તમથી  નરોતમ'ની ઉપમા આપતાં કહ્યું કે, ઉચ્ચ ગુણો, સુઝબુઝ અને કર્મઠતાથી 'નરોતમ' નામ તેમણે સાર્થક કર્યું છે.

નરોતમકાકા એન્જિનિયર, કોન્ટ્રાકટર, શિક્ષક અને રાજકારણી એમ બહુમુખી પ્રતિભાના ધની છે. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં એન્જિનિયર તરીકેની સારા વેતનમાનવાળી અને મોભાદાર કારકિર્દીનો ત્યાગ કરી દેશ અને સમાજસેવા માટે પોતાની જાતને સમર્પિત કરી હતી. સત્તા માટે નહીં, પણ જનસેવા માટે સંઘર્ષમય જીવન જીવી યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેમણે ઉચ્ચકક્ષાની કામગીરી કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. નરોત્તમકાકા ૮૬મા વર્ષે પણ યંગમેન છે. તેમણે પુસ્તકમાં પીરસેલા અનુભવો અનેક ઉગતા યુવાનો, રાજકારણીઓ, સમાજસેવકો અને જાહેરજીવનમાં રહેલાં લોકો માટે દીવાદાંડીરૂપ બનશે એમ જણાવી તેમના દીર્દ્યાયુની શુભેચ્છા પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું કે, મોકળા મને કામ કરવા માટે પરિવારનો સહકાર જરૂરી છે. નરોત્તમભાઈ પટેલને તેમના પરિવાર પુરતો સહકાર મળ્યો, જેનો તેમણે સમાજસેવા-લોકસેવા માટે ભરપૂર ઉપયોગ કર્યો. કેબિનેટ મંત્રી તરીકેના કાર્યકાળમાં શ્રી નરોત્ત્।મભાઈ પટેલે પ્રજાહિતના નિર્ણયો લઇ ગુજરાતને પાણીદાર રાજય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. નરોત્ત્।મકાકા મિત્ર, માર્ગદર્શક અને ગુરૂ તરીકે હરહંમેશ મારૂ જીવન ઘડતર કરતાં રહ્યાં છે.

આ તકે શ્રી નરોત્ત્।મભાઈએ પુસ્તક વિમોચનનો આનંદ વ્યકત કરતાં જણાવ્યું કે, ઈજનેરી ક્ષેત્રના વ્યકિત એવો હું પુસ્તક લખું એ આશ્ચર્ય સર્જે, પરંતુ કોરોનાકાળમાં મારા વિચારોને કાગળ પર ટપકાવવાનું શરૂ કર્યું અને આ વિચારો, મેં જોયેલી અને અનુભવેલી વાતો, ઘટનાઓને પુસ્તકરૂપે આકાર આપવાનો વિચાર સ્ફૂર્યો. મારા જાહેર અને રાજનીતિક જીવનની સિદ્ઘીઓ, ભૂલો, પરિશ્રમ અને સંઘર્ષોને નિખાલસપણે અને હિંમતભેર આ પુસ્તકમાં લખવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે, જે રીતે આપણે બાળપણમાં દાદાજીની વાતો સાંભળીને પ્રેરણા લેતાં, એ જ રીતે આ પુસ્તકમાં નરોતમકાકાની વાતો છે. પોતાના જીવનનો સાર 'અંતરના ઝરુખેથી' પુસ્તક દ્વારા આપ્યો છે એમ જણાવી તેમણે પુસ્તકની પ્રસિદ્ઘિ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યકત કરી ઋણસ્વીકાર કર્યો હતો.

સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, નરોતમકાકાનું સંગઠન અને પ્રજાકીય વહીવટમાં આગવું પ્રદાન છે. પોતાની આવડતથી ઉમદા નિર્ણયો લઈને પાણીદાર મંત્રીનું બહુમાન મેળવ્યું હતું. કોર્પોરેશનની ચૂંટણીથી રાજકીય સફર શરૂ કરી કેબિનેટ મંત્રી સુધી પહોંચેલા નરોત્તમભાઈનું રાજયના વિકાસમાં પાયાનું યોગદાન રહ્યું છે એમ જણાવી કાકા શતાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત કરે એવી શુભકામના તેમણે વ્યકત કરી હતી.

પ્રારંભે પુસ્તકના સંપાદકશ્રી હેમેનભાઈ ભટ્ટએ પુસ્તક લેખન અને સંપાદન અંગેની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, પ્રભુભાઈ વસાવા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, વીર નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કે. એન. ચાવડા, અગ્રણી સંદિપભાઈ દેસાઈ, નિરંજનભાઈ ઝાંઝમેરા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત સર્વે ધારાસભ્યો, શુભેચ્છકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(3:33 pm IST)