Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

કોરોનાને કારણે હોસ્પિટલો વધારે સ્વચ્છ બનીઃ બેકટેરિયાને કારણે થતા રોગોમાં ઘટાડો થયો

હોસ્પિટલોમાં સ્વચ્છતાને વધારે મહત્વ આપવામાં આવ્યું: દર્દીઓના સગાઓના પ્રવેશ પણ બંધ થયા, જેના કારણે હોસ્પિટલોમાં બેકટેરિયાને કારણે થતી બીમારીઓ પણ ઓછી થઈ

અમદાવાદ, તા.૧૯: હોસ્પિટલોમાં ઈન્ફેકશન થવાની સમસ્યા ઘણી સામાન્ય હતી, ઘણાં દર્દીઓ સુક્ષ્મજીવોને કારણે બીમાર પડતા હતા. પરંતુ અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના મહામારીને કારણે હોસ્પિટલોમાં થતી સફાઈને કારણે આ પ્રકારની બીમારીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

તાજેતરમાં JPAMમાં એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યુ હતું, જેનું શીર્ષક હતું- મોલીકયુલર કેરેકટરાઈઝેશન ઓફ આઈસોલેટેડ મલ્ટીડ્રગ રઝિસ્ટન્સ બેકટેરિયા ફ્રોમ ટર્ટીઆરી કેર હોસ્પિટલ્સ ઓફ અહમદાબાદ. આ રિસર્ચ પેપરના લેખક અનુરાગ ઝવેરી, દિલીપ ઝવેરી અને લક્ષ્મી ભાસ્કરન છે. રિસર્ચ પેપરમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૭ અને ૨૦૨૦ દરમિયાન હોસ્પિટલની સપાટી પરથી કુલ ૪૪૦૦ નમૂના લેવામાં આવ્યા હતા, જેથી પેથોજન્સની હાજરીનું મૂલ્યાંકન કરી શકાય.

અભ્યાસ અનુસાર Klebsiella બેકટેરિયાની હાજરીમાં ૮૦થી ૨૦ ટકા, ઈ.કોલી બેકટેરિયામાં ૯૦ ટકા થી ૧૦ ટકા અને સ્યુડોમોનસમાં ૮૦ ટકાથી ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રિસર્ચ પેપરમાં લખવામાં આવ્યું છે કે, સ્વાસ્થ્ય કર્મચારીઓમાં જાગૃતિને કારણે આ ઘટાડો શકય બન્યો છે. જો આ પ્રકારની સ્વચ્છતા જાળવી રાખવામાં આવે તો આગામી પેઢી માટે ફાયદાકારક સાબિત થશે.

અમદાવાદ શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ ઘટાડા માટે દ્યણાં પરિબળો જવાબદાર છે. શરુઆતમાં એવી સમજ હતી કે કોરોના વાયરસ સપાટી પરથી પણ ફેલાઈ શકે છે. આ કારણે હોસ્પિટલોમાં કોવિડ અને નોન-કોવિડ વિભાગોમાં અત્યંત ગંભીરતાથી સફાઈ કરવાની શરુઆત કરવામાં આવી. સ્વચ્છતા બાબતે કડક નિયમોનું પાલન થવા લાગ્યુ. આ સિવાય હોસ્પિટલોમાં લોકોના પ્રવેશને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો. મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓના સગાને પ્રવેશ આપવામાં નથી આવતો. મેડિકલ સ્ટાફ હાથનાં મોજા, ફેસ શીલ્ડ, પીપીઈ કિટનો ઉપયોગ કરતા થયા. આના કારણે વાતાવરણમાં બેકટેરિયાનું પ્રમાણ ઓછુ થયું.

(10:05 am IST)